Site icon Gujarat Today

અફસોસ કે, ભાજપના કાવતરામાં ફસાઈ સચિન પાયલટે સરકાર પાડવાનો પ્રયાસ કર્યો : કોંગ્રેસ

(એજન્સી) જયપુર, તા.૧૪
સચિન પાયલટે કોંગ્રેસ સામે બળવો કરવાની કિંમત ચુકાવવી પડી છે. પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ તેની જાહેરાત કરી છે. પાયલટ વિરુદ્ધ ભરવામાં આવેલા પગલાની જાણકારી આપતા સુરજેવાલાએ આક્રમક અંદાજમાં તે પણ યાદ અપાવ્યુ કે, સચિન પાયલટને નાની ઉંમરમાં પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. જયપુરમાં સીએમ આવાસમાં ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ, અમને એક વાતનું દુખ છે કે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તથા કેટલાક ધારાસભ્યો અને મંત્રી ભ્રમિત થઈને ભાજપના ષડયંત્રમાં આવીને કોંગ્રેસની સરકાર પાડવામાં સામેલ થઈ ગયા છે.
સુરજેવાલાએ કહ્યુ, સોનિયા ગાંધીજીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સચિન પાયલટ તથા બીજા સાથી મંત્રી, ધારાસભ્યો સાથે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓએ પણ પાયલટ સાથે અડધો ડઝન વાર વાત કરી. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પાયલટ સાથે ઘણીવાર ચર્ચા કરી. કેસી વેણુગોપાલે પણ ઘણીવાર વાત કરી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી અમે પણ અપીલ કરીકે બધા દરવાજા ખુલ્લા છે. જો તમારે મતભેદ હોય તો કોંગ્રેસ નેતૃત્વને જણાવો, આપણે બેસીને ઉકેલ લાવીશું.
રણદીપ સિંહ સુરજેવાલાએ સચિન પાયલટને કોંગ્રેસમાં આપવામાં આવેલી જવાબદારીઓનો પણ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યુ, પાયલટને નાની ઉંમરમાં રાજકીય તાકાત આપવામાં આવી, જે અન્ય કોઈને આપવામાં આવી નથી. ૨૦૦૩માં સચિન પાયલટ રાજનીતિમાં આવ્યા, ત્યારબાદ ૨૬ વર્ષની ઉંમરે ૨૦૦૪માં તેમને કોંગ્રેસે સાંસદબનાવ્યા. ૩૨ વર્ષની ઉંમરે કેન્દ્રમાં મંત્રી બનાવ્યા. ૩૪ વર્ષની ઉંમરમાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી. ૪૦ વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વ્યક્તિગત આશીર્વાદ સાથે હતા, તેથી આટલું આપવામાં આવ્યું.
આ બધી વાતો રાખતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ કે, સચિન પાયલટને આટલું બધુ મળ્યા છતાં કોંગ્રેસ સરકાર પાડવાના ષયડંત્રમાં ભાગ લીધો, જે સહન કરી શકાય નહીં. તેથી સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે.

Exit mobile version