(એજન્સી) અલ્હાબાદ,તા.ર૧
આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા મુસ્લિમ નવયુવાનોને કાનૂની સહાયતા પૂરી પાડવા માટે ઓલ ઈન્ડિયા માઈનોરિટી એડવોકેટસ એસોસિએશન આગળ આવ્યું છે.
અલ્હાબાદમાં આયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં યુપીના વિભિન્ન જિલ્લાઓમાં મુસલમાનોને મફત કાનૂની સહાય આપવા શિબિર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ અલ્હાબાદમાં મુસ્લિમ વકીલોનું આ સંમેલન પૂર્વ કેન્દ્રીય મંત્રી સલીમ શેરવાનીની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ સંમેલનમાં ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાંથી મુસ્લિમ વકીલો અને એમના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં એ તથ્ય પર ચિંતા વ્યકત કરવામાં આવી હતી કે હાઈકોર્ટમાં કામ કરતા મુસ્લિમ સરકારી વકીલોને રાજય સરકાર દ્વારા મોટી સંખ્યામાં હટાવી દેવાયા છે. બેઠકમાં વકીલ સમુદાયની સમસ્યાઓના ઉકેલ અને સસ્તી ન્યાયિક પ્રક્રિયા ઉપલબ્ધ કરવાની જવાબદારી નિભાવવા ઉપર જોર આપવામાં આવ્યું.
વકીલોએ બંધારણીય અધિકારીઓ સંબંધિત મુસ્લિમ સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવવા એક મત દર્શાવ્યો હતો.