સુરત, તા.૨૭
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત કાર્યરત મદદનીશ નિયામક રોજગારની કચેરી, સુરત અને બારડોલી વિસ્તારની તાજપોર ઈસરોલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ કોલેજ તેમજ એન.જી. પટેલ પોલીટેક્નિક દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વિવિધ ડિગ્રી ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો ઉપલબ્ધ થાય તે હેતુસર ટેક્નીકલ જોબ ફેર ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું. આ જેબ ફેરના મુખ્ય સહાયક તરીકે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, એન્જિનિયરિંગ વિકાસ એસોસિએશન તથા સેતુ ફાઉન્ડેશન સુરત હતું.
આ જોબ ફેરના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે એમને જણાવ્યું કે આજના આ સમયમાં વિદ્યાર્થીઓને જરૂરી રોજગારી મળી રહે તે માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. એના પ્રયાસના ભાગરૂપે આજે વિવિધ કંપનીઓ અહીં આવી છે. આ ભરતી મેળામાં વધુને વધુ ઉમેદવારોને તક મળી રહે તે માટે કંપનીઓને અનુરોધ કરેલ તેમજ કારકિર્દીમાં સફળ થવા ઉમેદવારોને પ્રોત્સાહન પૂરૂં પાડેલ. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બાબુભાઈ પટેલે, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પી.એમ. શાહ, બારડોલીના પ્રાંત અધિકારી વાય.ડી.ગોહિલ, રોજગાર અધિકારી પી.એલ. પટેલ, સેવાના પ્રમુખ અને સેતુ ફાઉન્ડેશનનાં ચેરમેન હેતલભાઈ મહેતા, કોલેજના આચાર્ય ડૉ. લતેશ ચૌધરી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નોકરીની તકો ઉપલબ્ધ કરવા કઈ તકેદારીઓ રાખવી જોઈએ એની સમજણ આપી હતી.