ભૂજ આવતા આર્મી જવાનની ટ્રેનમાંથી ગુમ રાયફલ ભચાઉ નજીક નાળામાંથી મળી

(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૩
સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદથી ભૂજ આવી રહેલા ભૂજ સ્થિત આર્મીના જવાનનો તા.ર-૮ની રાત્રે ટ્રેનમાંથી થેલો અને તેની એ.કે.૪૭ રાયફલ પણ ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. જવાનની રાયફલ ગુમ થવા મુદ્દે સુરક્ષા એજન્સીઓ પણ ગંભીર બની હતી. જો કે અંતે આ રાયફલ ભચાઉ રેલવે મથક નજીકના એક નાળામાંથી મળી આવતાં તંત્રને રાહત થઈ હતી.
કિસ્સાની વિગત એવી છે કે મૂળ અમૃતસર પંજાબના અને હાલમાં ભૂજ કેમ્પ યુનિટ-૩માં ફરજ બજાવતા રણજીતસિંઘ સુખવિંદર સિંઘ તા.ર-૮ના રાત્રે અમદાવાદથી ભૂજ આવવા સયાજીનગરી ટ્રેનમાં બેઠા હતા. વહેલી પરોઢે ટ્રેન જ્યારે કચ્છના સામખિયાળી નજીક પહોંચી ત્યારે તેમની પાસેનો થેલો, યુનિફોર્મ, બે મોબાઈલ અને એ.કે.૪૭ રાયફલ ગૂમ હતી.
આ અંગે જવાને ગાંધીધામ રેલવે મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ મળેલી વિગત મુજબ ભૂજ આર્મીના આ જવાન પોતાની રાયફલની જોધપુર ખાતે મરામત કરાવીને પરત આવતા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.
બાદમાં જો કે સામખિયાળીથી ભૂજ સુધીની રેલવે લાઈનના વિસ્તારમાં તપાસ કરવામાં આવતા ભચાઉ નજીકથી આ રાયફલ મળી આવી હતી. જો કે જવાનનો થેલો મળવા પામ્યો નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks