(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧પ
ભાજપના જ અમુક સાંસદો તેમના નિવેદનો હરકતો થકી ભાજપ માટે કપરી સ્થિતિ ઉભી કરતા રહે છે અગાઉ પણ પોતાના નિવેદનને લઈ વિવાદમાં આવનાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરીવાર શિક્ષકોને દારૂ પીતા અને જુગાર રમતા હોવાનું કહેતા ભાજપ સરકારની સ્થિતિ કફોડી થવા પામી છે. ત્યારે આ મુદ્દે રાજયના શિક્ષણમંત્રીએ મનસુખ વસાવાને જ ખોટા દર્શાવી તેમના નિવેદનને ખોટું અને સત્યથી વિપરીત ગણાવ્યું છે.
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે તેવું નિવેદન આપતા રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તે મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષકો દારૂ પીવે છે તેવું કહેનાર સાંસદ મનસુખ વસાવા ખોટા છે. એક કાર્યક્રમ દરમ્યાન શિક્ષણમંત્રી ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગઈકાલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂડિયા અને જુગારિયા છે તેમ કહ્યું તે ખોટું છે. સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે ખોટા છે અને એમની પાસે કોઈ શિક્ષક દારૂ પિતા હોય તેની વિગત હોય તો તેઓએ તંત્રનું ધ્યાન દોરવું જોઈએ.
આ સિવાય શિક્ષણમંત્રીએ દલિત અત્યાચાર મુદ્દે જણાવ્યું કે સવર્ણ અને આદિવાસી તેમજ દલિતોને એક બીજાની જરૂર છે આ તો કેટલાક લોકો નેતા બનવા માટે સમાજો વચ્ચે ખાઈ ઉભી કરી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું નહીં આપે પણ કદાચ હાર્દિક રાજીનામું આપી દેશે તેમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રૂપાણીના રાજીનામા અંગે પણ જણાવ્યું છે.