(એજન્સી) પટના, તા. ૧૮
બિહારમાં અવારનવાર ગુનાની સનસનાટી ભરેલી ઘટનાઓએ એ પ્રશ્ન ઉભો કરી દીધો છે કે શું નીતીશ-મોદી સરકાર બન્યા બાદ બિહારમાં ફરીથી જંગલરાજ શરૂ થયું છે ? આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવી રહ્યો છે, કારણ કે, અરરિયા જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ મોડી રાત્રે એક ઈજનેરની ગોળી મારીને હત્યા કરી નાખી. હાલ તો, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ક્ષેત્ર ઈજનેર સંગઠન વિભાગમાં તૈનાત રામવિલાસ મહતો રાત્રે નરપતગંજથી કોઈ કામ પતાવીને અરરિયા પરત ફરી રહ્યા હતા, ત્યારે જ હડિયાબાડા ક્ષેત્રની નજીક બદમાશોએ તેમને ગોળી મારી દીધી. ઘટના સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું. અરરિયાના પોલીસ અધિક્ષક કે.ડી. સિંહે સોમવારે જણાવ્યું કે, આ અસામાજિક તત્ત્વોની સંખ્યાં ૪ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, કે જેઓ બાઈક પર આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અરરિયા સદર હોસ્પિટલમાં મોકલી દીધો છે. મૃતક રાંચીનો રહેવાસી હોવાનું જણાવાયું છે. હાલ તો પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.