(એજન્સી) મુંબઈ, તા.ર
પદ્માવતી ફિલ્મની રજૂઆત પહેલાં તેની સામે ભારતીય જનતા પાર્ટી કામચલાઉ મનાઈ હુકમ ઈચ્છે છે. તેમ એક અંગ્રેજી અખબારે જણાવ્યું હતું. પક્ષ દ્વારા જલ્દીથી આ અંગે ચૂંટણીપંચને લેખિત જણાવાશે. આ ઉપરાંત ફિલ્મ બોર્ડ અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરાશે. ભાજપને એ વાતની ચિંતા છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી રહેલ દીપિકા પાદૂકોણ અને અલાઉદ્દીન ખલજીના રોમાન્સથી ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાશે. આ બાબતે ફિલ્મ બોર્ડ અને સરકારને ફિલ્મ રોકવા માટે જણાવાશે તેમ ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ કહ્યું હતું. આ મુદ્દે વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી ફિલ્મ રજૂ કરવા પર પ્રતિબંધ મૂકવો. આ પગલું ચૂંટણીને લઈને લેવાયું નથી. પરંતુ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ખરાબ ન થાય તે માટે કોઈ કોમને અસર ન પડે તે જોવું જરૂરી છે. કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપે ચૂંટણી પંચને ફિલ્મ પ્રદર્શિત થતી રોકવા કહ્યું છે. હવે તમારી સરકાર છે. વડાપ્રધાનને લખો. તેમણે કહ્યું કે ફિલ્મને રાજપૂત જ્ઞાતિના લોકો દ્વારા પહેલાં વિશેષ અભ્યાસ કરવા દો અને તેમાં કંઈ વિરોધાભાસી લાગે તો તેના દ્રશ્યો કટ કરી દેવા જોઈએ. ફકત અત્યારે જ ફિલ્મ રજૂ થતી મુલત્વી રાખવી તે રાજપૂત કોમની લાગણીઓ પૂરતી નથી. પરંતુ અમે માગણી કરીએ છીએ કે, જો ફિલ્મમાં ઈતિહાસ સાથે કોઈ છેડછાડ થઈ હોય તો તે ફિલ્મ પ્રદર્શિત કરવી ન જોઈએ. મહારાષ્ટ્રના પર્યટન મંત્રી જયકુમાર રાવલે પણ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધની માગણી કરી રાજ્ય સરકાર આ મુદ્દે સેન્સર બોર્ડને લેખિત નોટિસ મોકલે.