અમદાવાદ,તા.૯
ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષો આઈ કે જાડેજા અને ગોરઘન ઝડફીયાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષ કોંગ્રેસના નેતાના પાયાવિહોણા આક્ષેપોને પડકારતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા લોક ભાગીદારીથી રાજ્યના તમામ જીલ્લાઓમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમોના ડીશીલ્ટીંગ, નહેરની સફાઈ, નદીઓને પુનર્જિવીત કરવાના સુજલામ સુફલામ જળ અભિયાન યોજના હેઠળ ૧૭,૦૦૦ જેટલા જળ સંચયના કામોનું તા. ૧ મે થી ૩૧ મે સુધીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી અંદાજે ૧૧,૦૦૦ લાખ ઘન ફુટ વરસાદી પાણીનો જળ સંગ્રહ થવાનો છે. તેનાથી ડઘાઈ જઈને વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ આ રચનાત્મક કાર્યનો નકામો વિરોધ કરી રહી છે. પરેશ ધાનાણી બોરીબંધના મુદ્દે રાજીનામુ આપવા તૈયાર થયા છે તે હાસ્યાસ્પદ છે. ઝડફીયાએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષના નેતાને ખબર હોવી જોઈએ કે બોરીબંધ જે જળ સંચયના કાર્યક્રમ માટે હાથ ધરાયેલ કાર્યક્રમ છેક વર્ષ ૨૦૦૫માં શરૂ કર્યો હતો. સામાન્ય બુદ્ધિની વાત છે કે, બોરીબંધ એ હંગામી ધોરણે ચોમાસામાં નદી-નાળા અને વોંકળામાં વહી જતા પાણીને રોકવાનું કાર્ય છે. જે ઓછા ખર્ચે પાણી રોકવાનો જળ સ્તરમાં લાભ થાય તે માટે હતા. કોંગ્રેસે બોરીબંધ અને સ્થાયી બંધના તફાવતને સમજી લેવાની જરૂર છે.