(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોના રહસ્યમય મોતનું કોકડું અત્યારસુધી ઉકેલાયું નથી. દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા અનેક ચોંકાવનારા ખુલાસા કરાયા છે. પરિવારના છ લોકોનું લટકવાને કારણે મોત થયું છે. ઉત્તર દિલ્હીના બુરાડીમાં આવેલા તેમના મકાનમાંથી ભાટિયા પરિવારની ત્રણ પેઢીના મૃતદેહો પાડોશીને મળી આવ્યા હતા. પોલીસ હજુ મોતનું રહસ્ય ઉકેલવામાં વ્યસ્ત છે કે, આત્મહત્યા છે કે હત્યા સાથે આત્મહત્યા છે. પોલીસે કહ્યું છે કે, મોતમાં આદ્યાત્મિક પ્રવૃત્તિઓનો ખુલાસો પત્રોમાં થયા બાદ હાલ હત્યાનો કેસ નોંધાયો છે.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. ૧૧માંથી ૧૦ મૃતદેહો પંખા લાથે લટકેલા હતા તેમાંથી મોટાભાગની આંખો પર પટ્ટી બાંધેલી, ગળું દબાવેલું અને પાછળ હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. દિલ્હીમાં સોમવારે મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાયો હતો.
૨. પરિવારના સૌથી વૃદ્ધ ૭૭ વર્ષના નારાયણ દેવીનો મૃતદેહ ગળું દબાવીને નીચે પડેલો મળી આવ્યો હતો.બાકીના તમામના મૃતદેહ પંખા સાથે લટકેલા મળી આવ્યા હતા.
૩. મૃત્યુ પામેલાઓમાં નારાયણ દેવીની ૫૭ વર્ષની પુત્રી પ્રતિભા, પુત્રો ભાવનેશ ભાટિયા (૫૦ વર્ષ), લલિત ભાટિયા (૪૫ વર્ષ), ભાવનેશની પત્ની સવિતા (૪૮ વર્ષ), તેમના ત્રણ બાળકો મીનુ (૨૩ વર્ષ), નીતુ (૨૫ વર્ષ), ધ્રુવ (૧૫ વર્ષ) લટકેલી હાલતમાં મળ્યા હતા. બીજી તરફ લલિત ભાટિયાના પરિવારમાં પત્ની ટીના (૪૨ વર્ષ), ૧૫ વર્ષનો દીકરો લટકેલા મળ્યા હતા.
૪. પ્રતિભાની ૩૩ વર્ષની પુત્રી પ્રિયંકાની ગયા મહિને જ સગાઇ થઇ હતી તેની પણ લટકેલી હાલતમાં લાશ મળી હતી. આઇટી કંપનીમાં કામ કરતી પ્રિયંકા લગ્ન માટે ઘણી ઉત્સાહિત હતી.
૫. નારાયણ દેવીના વધુ એક અલગ રહેતા પુત્ર અને પુત્રી આ ઘટનાથી આઘાતમાં છે. તેમનો મોટો પુત્ર દિનેશ ભાટિયા રાજસ્થાનમાં રહે છે અને પુત્રી સુજાતા હરિયાણાના પાણીપતમાં રહે છે.
૬. સુજાતા ભાટિયાએ જણાવ્યું હતું કે, મારે માનવામાં નથી આવતું કે તેઓએ આત્મહત્યા કરી છે. બધા ખુશ હતા. કોઇકે તેઓની હત્યા કરી છે અને પોલીસે તેમને પકડવા જોઇએ.
૭. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, શનિવારની રાતે ૧૦.૪૦ વાગ્યે ભાટિયાના ઘરે ભોજન મંગાવાયું હતું. તે બાદ પાડોશીઓ દ્વારા રવિવારે લાશ શોધી કાઢ્યા પહેલા કોઇપણ ઘરની વ્યક્તિ પ્રવેશતા કે બહાર જતા જોવા મળી નહોતી.
૮. પોલીસે કહ્યું કે, કેટલાક હાથથી લખેલા લખાણો મળી આવ્યા છે જેનાથી જાણવા મળે છે કે, સમગ્ર પરિવાર કોઇ આદ્યાત્મિક કે અંધશ્રદ્ધાની પ્રવૃત્તિ કરતો હતો.
૯. લખાણોમાં મોઢું બાંધી અને હાથ બાંધવા અને આંખે પટ્ટી બાંધવાનો પણ ઉલ્લેખ છે.
૧૦. પોલીસે અગાઉ ગયા મહિને ગેંગવોરમાં ત્રણના મોત સાથે સાંકળતી આશંકા દર્શાવી હતી. ૧૮મી જૂને મુખ્ય બુરાડી બજારમાં બે ગેંગે એકબીજા સામે ગોળીબાર કર્યો હતો જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં જ્યારે પાંચ ઘવાયા હતા. જો કે, પોલીસને તેની સાથેની કોઇ કળી આ મોતો સાથે મળી નહોતી.
બુરાડી મોતનુંં રહસ્ય : ૧૦ વણઉકલ્યા સવાલ
દિલ્હીના બુરાડીમાં સંત નગરમાં એક જ પરિવારના ૧૧ સભ્યોના પંખા સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં હત્યા અને સામુહિક આત્મહત્યાની આશંકા દર્શાવાઇ છે. જોકે, તપાસ દરમિયાન નવા ખુલાસા થયા છે પરંતુ હજુ પણ ઘણા સવાલ વણઉકેલ્યા છે.
૧. શું એ સામુહિક આત્મહતા હતી કે પછી પરિવારના કોઇ એક સભ્યે આત્મહત્યા કરતા પહેલા બધાની હત્યા કરી ?
૨. ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ નહોતો. આનાથી એવું લાગે છે કે, પરિવારની કોઇ બહારની વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોય.
૩. પરિવારનો પાલતુ કૂતરો છત પર બાંધેલો મળી આવ્યો. જો કોઇ બહારની વ્યક્તિ પરિવારના સભ્યોની હત્યા કરવા આવી હોય તો પાડોશીઓએ કૂતરાના ભસવાનો અવાજ કેમ ના સાંભળ્યો ?
૪. પંખા સાથે લટકેલી લાશોમાં આઠની આંખો પર જ પટ્ટી બાંધેલી હતી. આવું કેવી રીતે બન્યું ?
૫. પોલીસને કેટલાક લખાણો સાથે બે નોટબૂક મળી છે જેમાં પરિવારને સૂચના અપાઇ હતી. આ ઘટનાક્રમ લખાણ અનુસાર જ થયો હતો. આ લખાણ કોણે લખ્યા હશે ? શું તે કોઇ પરિવારજને લખી હશે કે પછી કોઇ બાબાએ ?
૬. આ સામુહિક આત્મહત્યા અંધવિશ્વાસ કે પછી ધાર્મિક વિધિને કારણે થઇ છે ?
૭. પોલીસને ઘરની બહારથી ૧૧ પાઇપ મળી છે અને રસપ્રદ રીતે ઘરમાં ૧૧ લોકોના મોત થયા છે. સાત પાઇપો વળેલી છે જ્યારે ચાર સીધી હતી. પરિવારમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષો હતા. પાઇપો અને મૃત્યુ સાથે જો કોઇ સંબંધની આશંકાએ પોલીસ બાબાઓ સાથે પણ વાત કરી રહી છે.
૮. શા માટે ઘરના સૌથી વૃદ્ધ મહિલાને પંખા સાથે ન લટકાવ્યા અને હત્યા કરાઇ ? પોલીસે કહ્યું કે, તેઓ એકલા જ હતા જેમનું ગળું દબાવાયું હતું.
૯. પરિવારના કોઇ સભ્ય દ્વારા સ્યુસાઇડ નોટ કેમ ન લખાઇ ?
૧૦. શું પરિવારના બે બાળકો પણ કોઇ અવાજ વિના આત્મહત્યા કરવા માટે તૈયાર થઇ ગયા હતા ?
દિલ્હીના પરિવારના મોતથી સંબંધીઓને આંચકો : ‘‘લગ્નની તૈયારીઓની ચર્ચા કરી હતી’’
દિલ્હીનો પરિવાર દ્વારા ગ્રૂપ ફોટા, સેલ્ફીઓ, રજાની ઉજવણી, ઉજવણીઓના ફોટા ફેસબૂક પર મુકવામાં સૌથી આગળ હતો. જોકે, રવિવારે દિલ્હીના બુરાડી વિસ્તારમાંથી એક જ પરિવારના ૧૧ લોકોના મૃતદેહ મળી આવતા તેમના પાડોશીઓ અને મિત્રોના હોશ ઉડી ગયા હતા. આમાંથી મોટાભાગના પંખા સાથે લટકેલા, આંખે પટ્ટી બાંધેલી, ગળું દબાવેલી અને હાથ પાછળના ભાગે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના બે વ્યક્તિ નારાયણ દેવીનો મોટો પુત્ર દિનેશ જે રાજસ્થાનના કોટામાં રહે છે અને પુત્રી સુજાતા જે હરિયાણાના પાનીપતમાં રહે છે તેઓ બચી ગયા હતા. પ્રિયંકાના પિતરાઇ ભાઇ કેતને કહ્યું કે, તે રાતે ૧૧ વાગ્યા સુધી તો તેના લગ્નની ખરીદીની વાતો કરી રહી હતી. તે સહેજ પણ તણાવમાં કે પોતાને મોતને ઘાટ ઉતારી દેશે તેવી લાગતી નહોતી. અમે બધા તો તેના લગ્નની રાહ જોતા હતા પણ હવે બધું સમાપ્ત થઇ ગયું. આ પરિવારના દિલ્હીના ઇન્ડિયા ગેટ પરના ફોટા પણ ફેસબૂક પર જોવા મળી રહ્યા હતા. પાડોશી પ્રવીણ મિત્તલે કહ્યું કે, તેઓ આ પરિવારને ૨૦ વર્ષથી ઓળખે છે અને તે ઘણો ધાર્મિક હતો જેઓ સૂતા પહેલા પણ પ્રાર્થના કરતા હતા. તેઓ હનુમાનના ભક્ત હતા. જોકે, આ પરિવાર સારી રીતે શિક્ષિત હતો અને કોઇની જાળમાં આવે તેવો નહોતો. મિત્તલે કહ્યું કે, એક અકસ્માતમા લલિત ભાટિયા પોતાની બોલવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. ત્યારબાદ તેમના પિતા તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને ઘણી પ્રાર્થના કરવા કહ્યું હતું. ત્યારબાદથી આ પરિવાર ઘણો ધાર્મિક બન્યો હતો. જોકે હું સામુહિત આત્મહત્યાની વાતને માનતો નથી. એક લખાણમાં મોક્ષની વાત કરવામાં આવી છે પરંતુ હત્યા પાછળ આને કોઇ લેવા દેવા નથી તેવું મારૂ માનવું છે.