(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
રાજ્ય સરકાર દ્વારા સડક માર્ગ ઉપરાંત હવાઈ માર્ગ દ્વારા પણ વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે નાના-નાના શહેરો અને ધાર્મિક સ્થળોને સી-પ્લેન સાથે જોડવાની યોજનાના ભાગરૂપે આજે દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીની ટીમે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે વિયર કમ કોઝવે, કામરેજ ગાયપગલા તેમજ કેવડીયા કોલોનીની મુલાકાત લીધી હતી.
શહેરના કોઝવે ખાતે તાપી નદીના જળાશય ખાતે આજે સવારે દસ વાગ્યાના સુમારે સી-પ્લેન ઉડવાની શક્યતા ચકાસવા માટે દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની ટીમ આવી હતી. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને વિયર કમ કોઝવે ખાતે તાપી નદીના તટની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. વિયર કમ કોઝવે ખાતે સી-પ્લેન ઉડી શકે છે કે નહીં તેની શક્યતા ચકાસવા સર્વે કરવામાં આવશે. આ ટીમ દ્વારા તાપી નદી ખાતે કામરેજ નજીક ગાયપગલા ખાતે પણ સી-પ્લેનની શક્યતા ચકાસવામાં આવી હતી. દિલ્હીથી આવેલી ટીમ દ્વારા કોઝવે ખાતે એકાદ કલાક સુધી નિરીક્ષણ કર્યા બાદ આ ટીમ કેવડીયા કોલોની ખાતે રવાના થઈ હતી. સુરતથી કેવડીયા કોલોનીને સી પ્લેનના માધ્યમતી જાડવાની શક્યતા ચકાસવામાં આવશે. જેથી સરદાર સરોવર ખાતે નર્મદા નદીમાં નિર્માણાધીન સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સરળતાથી પહોંચી શકાય અને નવો પ્રવાસ ધામ વિકસી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
દિલ્હી એરપોર્ટ ઓથોરિટીની ટીમ આગામી દિવસોમાં સી પ્લેન માટેનો સર્વે રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કોઝવે ખાતેથી સી પ્લેન ઉડી શકે છે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. જા સર્વે રિપોર્ટ પોઝીટીવ આવશે તો સી પ્લેન લેન્ડિંગ અને ટર્મિનલ બનાવવાની કામગીરી માટે સિંચાઈ વિભાગ આગળનીકામગીરી હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.