(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, ચૂંટણી પંચના સભ્યો અને અધિકારીઓની નિમણૂકો માટેની પ્રક્રિયા અને કાયદો અમારી સમક્ષ રજૂ કરો અન્યથા અમને દરમિયાનગીરી કરી માર્ગદર્શિકા બહાર પાડવી પડશે. કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટના આ પ્રકારના અભિગમનો વિરોધ કરતાં જણાવ્યું કે કાયદો ઘડવાનું કાર્ય સંસદનું છે. ગઈકાલે જ ચૂંટણી પંચના નવા અધ્યક્ષ તરીકે અચલકુમાર જોતીની નિમણૂક કરાઈ હતી. ચૂંટણીપંચની નિમણૂકોમાં પારદર્શિતા લાવવા સુપ્રીમકોર્ટે દરમિયાનગીરી કરવાની વાત કરી હતી. સુપ્રીમકોર્ટની બેંચના મુખ્ય ન્યાયાધીશ અને જજ ચંદ્રચુડની બેંચે જણાવ્યું કે, બંધારણના અનુચ્છેદ ૩ર૪ હેઠળ જોગવાઈ કરાયેલ છે કે ચૂંટણીપંચના અધિકારીઓની નિમણૂક કાયદા મુજબ કરવામાં આવશે પણ હજી સુધી સંસદે કાયદો ઘડયો જ નથી. અમે સરકારને જણાવીએ છીએ કે તરત જ આ માટે કાયદો ઘડવામાં આવે અન્યથા લોકોમાં ચૂંટણી પંચની નિમણૂકો બાબતે શંકાઓ ઊભી થશે. કોર્ટ આ વિષે જાહેરહિત અરજીની સુનાવણી કરી રહી હતી. અનુપ પરનવાલ નામની વ્યક્તિએ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા જાહેરહિત અરજી દાખલ કરી માગણી કરી હતી કે ચૂંટણી પંચની નિમણૂકો બાબતે સરકાર સ્પષ્ટતાઓ કરે.