(એજન્સી) તિરૂવનંતપુરમ, તા. ૨૩
કેરળના નાણા પ્રધાન થોમસ ઇસાકે ડિઝાસ્ટર મેેનેજમેન્ટના નિયમોને ટાંકીને જણાવ્યું કે ગંભીર આપત્તિના સમયે વિદેશી સરકાર દ્વારા આપવામાં આવનારી સ્વૈચ્છિક સહાય સ્વીકાર કરી શકાય છે. જો કેન્દ્ર આ સહાય લેવાનો ઇનકાર કરે છે તો કેન્દ્રે તેની ભરપાઇ કરવી જોઇએ. કેરળના મુખ્યપ્રધાન પી.વિજયને કેરળ અને સંયુક્ત અરબ અમિરાત (યુએઇ) વચ્ચે ખાસ સંબંધોને ટાંકીને યુએઇને પારકો દેશ માની શકાય નહીં અને તેમની પાસેથી મદદ સ્વીકારવામાં કોઇ વાંધો નથી. મુખ્યપ્રધાને જણાવ્યું કે જ્યાં સુધી મને ખબર છે, યુએઇએ સ્વેચ્છાએ મદદની જાહેરાત કરી છે. યુએઇને પારકો દેશ તરીકે જોઇ શકાય નહીં. ભારતીયોમાં ખાસ કરીને કેરળવાસીઓએ તેમના રાષ્ટ્રના નિર્માણમાં બહુ મોટો ફાળો આપ્યો છે. યુએઇ દ્રારા ૭૦૦ કરોડ રૂપિયાની ઓફર કરાયેલી પૂર રાહત સહાય સ્વીકારવાનો કેન્દ્રે ઇનકાર કર્યો છે. આ મુદ્દા અંગે જરૂર જણાશે તો વિજયન કેન્દ્ર સાથે ચર્ચા કરશે. વિજયને કહ્યું કે યુએઇ તરફથી પૂર રાહત સહાયરૂપે કેરળને કરાયેલી ૭૦૦ કરોડ રૂપિયાની ઓફર સ્વીકારવામાં જો કોઇ વાંધો છે તો તેઓ આ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠવાશે ્અને કહેશે કે તેઓ આ વાંધો દૂર કરે. નોંધનીય છે કે, ભારત વિભિન્ન વિદેશી સરકારને આ વાતની જાણ કરી રહ્યું છે કે તે પૂરગ્રસ્ત કેરળ માટે નાણાકીય સહાય સ્વીકાર કરશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે બુધવારે રાત્રે જણાવ્યું કે વર્તમાન નીતિ હેઠળ સરકાર ઘરેલું માધ્યમથી રાહત અને પુનર્વાસ માટે આવશ્યકતાઓને પુરી કરવા માટે કટિબદ્ધ છે. જોકે, કેરળના મુખ્યપ્રધાને જણાવ્યું કે આવી મદદ સ્વીકારવામાં કોઇ વાંધો નથી. તેમણે પત્રકારોને કહ્યું કે અન્ય દેશો તરફથી કરાનાર દાન સ્વીકાર્ય છે. જરૂર જણાશે તો વડાપ્રધાન સાથે વાત કરીશું. છેલ્લા ૧૪ વર્ષમાં ભારતે ૨૦૧૩ના ઉત્તરાખંડના પૂર માટે, ૨૦૧૪માં કાશ્મીરના પૂર અને ૨૦૦૫માં કાશ્મીરના ભૂકંપ માટે રશિયા અને અમેરિકા પાસેથી સહાય સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.