પાલનપુર, તા. ર૧
દેશમાં ST SC એક્ટ મુદ્દે દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં દલિતો પરના અત્યાચાર ઓછા થતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ઘટના સામે આવી છે. જેમાં દલિત કિશોરે તેની ફેસબુક આઈ ડીમાં નામની પાછળ “સિંહ” શબ્દનો ઉપયોગ કરતાં તેનું અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
દેશ અને રાજ્યમાં દલિતો પર અત્યાચારનું પ્રમાણ વધી રહ્યું છે. એક તરફ દેશમાં એટ્રોસિટીના કાયદામાં સંસોધનની વાત ચાલી રહી છે. જ્યારે બીજી તરફ દલિતો પર અવનવા અત્યાચારોની ઘટના સામે આવી રહી છે. જેમાં વડગામ તાલુકાના બાવલચુડી ગામના કિશોરે તેની ફેસબુક આઈ ડી માં તેના નામની પાછળ “સિંહ” શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે મામલે ગામના કેટલાક દરબાર લોકોએ તેને ધમકી આપી હતી અને ગઈકાલે આ કિશોર જ્યારે શાળાએથી પરત આવી રહ્યો હતો ત્યારે ૬ જેટલા દરબાર સમાજ ના લોકોએ તેનું બાઈક પર અપહરણ કર્યું હતું અને અજ્ઞાત સ્થળે લઇ જઇ તેને ગડદા પાટુ નો મારમર્યો હતોએટલુંજ નહીં પરંતુ કિશોર ને ગુપ્ત જગ્યાએ માર મારતા તેને ગંભીર ઇજા પહોંચાડી આ હુમલાખોર શખ્સો નાસી ગયા હતા. બાદમાં આ ઈજાગ્રસ્ત કિશોરને તેના પરિવારે સારવાર માટે વડગામ અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો અને હુમલો કરનારા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધોળકામાં દલિત યુવકના નામની પાછળ સિંહ લખવા મામલે મારામારી થઈ હતી. ત્યારબાદ વધુ એકવાર દલિત યુવકના નામની પાછળ સિંહ લખવા મામલે બાવળચૂડી ગામમાં દલિત યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ પણ તટસ્થ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી દલિત સમાજની માંગ છે.