(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) સુરત શહેર જિલ્લા કાઉન્સિલ દ્વારા સુરત જિલ્લાના કલેક્ટર મારફત આવેદન પત્ર પાઠવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના રોજેરોજ વધતા જતા ભાવોના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો પણ વધે છે. જેના કારણે અસહ્ના મોંઘવારીથી દેશની સામાન્ય પ્રજા પીડાઈ રહી છે. જેથી મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરેલ છે. જે અન્વયે અમો પેટ્રોલ-ડીઝલના રોજેરોજના ભાવ વધારા સહિત મોંઘવારીના વિરોધમાં સુરત શહેરમાં ચોકબજાર ગાંધીજીના પૂતળા પાસે સીપીઆઈના કાર્યકરોએ દેખાવ સૂત્રોચ્ચાર સહિતનો કાર્યક્રમ કર્યો હતો અને આ બાબતે સીપીઆઈ પક્ષ તરફથી વિવિધ માંગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ આ આવેદનપત્ર દ્વારા રજૂ કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગઈ લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન ભારતીય જનતા પાર્ટીએ દેશના મતદાતાઓને અનેક વચનો આપ્યા હતા. જેમાં ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે રાહત આપવા, મોંઘવારી ઓછી કરવા, કાળુ નાણું જપ્ત કરવા, બેકાર યુવાનોને દર વર્ષે ૨ કરોડ રોજગારી પૂરી પાડવા, ખેડૂતોને પોષણક્ષમ ભાવો સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ આપવા વગેરે હતા. દેશના મતદાતાઓ જનતાએ આપના ઉપર વિશ્વાસ મુકી કેન્દ્રમાં સત્તા સ્થાને બેસાડી જેને ૪ વર્ષ પૂરા થયા છતાં એક પણ વચનનો અમલ કરેલ નથી. જનતા સાથે ભાજપ સરકારે વિશ્વાસઘાત કરેલ છે.