ભરૂચ, તા.૧૦
ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં આવેલા અકુજી હૉલ ખાતે ભરૂચ જિલ્લાની શાળાઓ ધો.૧૦-૧૨ ની લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મુસ્લિમ છાત્રોનો ભરૂચ વ્હોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચ વ્હોરા પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઇ પાદરવાળાએ શાળાઓના કરેલા વર્ગીકરણની માહિતી આપી હતી. જેમાં ૪૨ હાઇસ્કૂલો, ૩૦ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અને અને ૮ વિજ્ઞાનની ઉચ્ચ શાળાઓની માહિતી આપી હતી. જેમાં શાળાઓએ ૮૦ ટકા જેટલું ઊંચુ પરિણામ મેળવ્યું જે વિશે ટ્રસ્ટની કામગીરીની રસપ્રદ માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ ટ્રસ્ટના શૈક્ષણિક સમિતિના પ્રમુખ શબ્બીરભાઇ કાવીવાળાએ પોતાના ઉદબોધનમાં સાંપ્રત સમયમાં શિક્ષણના વધી રહેલા વ્યાપ વિશે રસપ્રદ માહિતી આપી હાજરજનોને પોતાના બાળકોને સુશિક્ષિત બનાવી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનાવવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ સમારોહના મુખ્ય વકતા પ્રોફેસર મહેરૂન્નીશાબેન દેસાઇએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે હાઇટેકનોલોજીના યુગમાં આગળ વધવું હશે તો દીકરીઓને ઉચ્ચશિક્ષણ આપવા માટે સમાજે પણ આગળ આવી દીકરીઓને સુશિક્ષિત બનાવવી જ પડશે તો જ સમાજનો પણ વિકાસ શકય બની શકશે.
દીકરીઓને શિક્ષણરૂપી આભૂષણથી શણગારી સાસરે વિદાય કરવા અનુરોધ કર્યો હતો. જો દીકરીઓ સુશિક્ષિત હશે તો જ સમાજ પણ મજબૂત બનશે. કાર્યક્રમના અંતમાં ધો.૧૦ -૧૨ માની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રો તથા છાત્રાઓને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.