(એજન્સી) ચેન્નાઈ, તા.૭
પેટ્રોલિયમ પેદાશોના વધતા જતા ભાવો સામે કોંગ્રેસ દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરના રોજ અપાયેલા ભારત બંધના એલાનને ડીએમકે પાર્ટીએ ટેકો આપ્યો છે. એક નિવેદનમાં ડીએમકે પ્રમુખ સ્ટાલિને ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વધતા જતા ભાવોને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર કોઈ પગલાં ભરતી નથી. વૈશ્વિક ક્રૂડના ભાવોમાં ઘટાડો થયો ત્યારે ભાજપ સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. વૈશ્વિક તેલના ભાવોમાં ઘટાડાનો પ્રજાને લાભ અપાયો નહીં. વિચિત્ર વાત એ છે કે, ચૂંટણી સમયે તેલ કંપનીઓ ભાવોમાં વધારો કરતી નથી. ચૂંટણી પૂરી થતાં જ જંગી ભાવવધારો ઝીંકી દેવાય છે. ડોલરના મુકાબલે રૂપિયો ઘસાતો જાય છે જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી દેખાવો યોજી બંધનું આહ્વાન અપાયું છે. કોંગ્રેસે સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સ ઘટાડવા માગણી કરી છે. કોંગ્રેસે વિરોધ પક્ષોને અને નાગરિકોને બંધમાં જોડાવા અપીલ કરી છે. તેલના ભાવો ભારતમાં ભડકે બળે છે.