(એજન્સી) તા.૧૧
એક આરટીઆઈના જવાબમાં યોગી સરકારે સ્વીકાર્યુ હતું કે બીઆરડી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડયો હતો અને છ સિલિન્ડરની વ્યવસ્થા ડો.કફીલખાને કરી હતી. આ ઘટના ૧૧ ઓગસ્ટ,૨૦૧૭ના રોજ બની હતી. લગભગ એક વર્ષ પહેલા આ દિવસે જ ૩૦ બાળકો ઓક્સિજન ખૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા. જોકે તેના બાદ મૃતકાંક વધીને ૬૧ને આંબી ગયો હતો. ત્રણ દિવસ સુધી આ ઘટનાની અસર જોવા મળી હતી. જોકે આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને યુપીની યોગી સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી. જોકે તે સમયે રાજ્યની યોગી સરકારે કેટલાક અહેવાલો અનુસાર કહ્યું હતું કે ઓક્સિજન ખૂટી પડયો ન હતો. જોકે એક વર્ષ બાદ ૪ જુલાઇના રોજ ખુદ રાજ્યની યોગી સરકારે સ્વીકાર્યુ હતું કે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યો હતો અને બે બિનસત્તાવાર વ્યક્તિઓએ તે સમયે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. એક આરટીઆઈ કાર્યકર્તા સંજય શર્મા દ્વારા દાખલ કરાયેલી આરટીઆઇના જવાબમાં બીઆરડી મેડિકલ કોલેજે સ્વીકાર્યુ કે ૧૧ ઓગસ્ટના રોજ ડો. કફીલખાન જે પૂર્વ નોડલ અધિકારી રહી ચૂક્યા છે તેમણે છ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. તેઓ આ સિલિન્ડર આનંદલોક નર્સિંગ હોમમાંથી લાવ્યા હતા જ્યારે ચાર અન્ય અન્ય જગ્યાએથી લવાયા હતા. જોકે ડો. કફીલખાન પોતે દાવો કરે છે કે તે બીઆરડી કોલેજમાં ૧૧ ઓગસ્ટના રોજ હાજર હતા અને ઓક્સિજન ખૂટી પડતાં તે સિલિન્ડર લાવ્યા હતા. જોકે તે સમયે હોસ્પિટલના મેનેજમેન્ટે આ દાવો સ્વીકાર્યો ન હતો અને કહ્યું હતું કે ફંડની અછતને કારણે ઓક્સિજન સપ્લાયરે ઓક્સિજનના સિલિન્ડર મોકલ્યા ન હતા. ત્યારબાદ કફીલખાનની ધરપકડ કર્યા બાદ તેમને જેલ મોકલી દેવાયા હતા. તેમની સાથે સાથે બીઆરડી કોલેજના પ્રિન્સિપાલ સહિત સાત અન્ય લોકોને પણ જેલ મોકલી દેવાયા હતા. જોકે હવે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે ડો. કફીલખાન સાચા હતા.