અમદાવાદ,તા.ર૧
કોંગ્રેસે વર્ષોથી ગુજરાત અને ગુજરાતની જનતા સાથે ઓરમાયું વર્તન દાખવ્યું છે. ત્યારે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરિવારવાદ અને વિકાસવાદની લડાઈ છે. જેમાં વિકાસવાદની જીત થશે. એમ અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરીને ભાજપની જીતની આશા વ્યકત કરી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચેની ચૂંટણી છે એક બાજુ સકારાત્મકતા છે જે લોકોને એકબીજા સાથે જોડવાની વાત કરે છે અને બીજી બાજુ જાતિવાદ-પરિવારવાદની નકારાત્મકતા છે. જે સમાજને તોડવાની રાજનીતિ કરે છે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે વર્ષોથી ગુજરાતને અને ગુજરાતના લોકોની સાથે અન્યાય કર્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જયારથી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદે જોયા ત્યારથી જ તેઓ તેમની ક્ષમતા જાણી ગયા હતા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માગતા મોદીના માર્ગમાં તેમણે અનેક અંતરાયો નાખ્યા કારણ કે, આ એવા લોકો છે કે જે કોઈપણ દેશને વિકાસની ઊંચાઈએ લઈ જવા માગતા કોઈપણ વ્યકિતને આગળ વધવા દેતા નથી.
તેમણે કોંગ્રેસ પર હળવો કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સાંભળ્યું છે કે કોંગ્રેસે તેના કાર્યાલયનો વીમો ઉતરાવ્યો છે. પરંતુ તેમના હાઈકમાન્ડે કહ્યું છે કે સમગ્ર કોંગ્રેસનો વીમો કરાવી લો પરંતુ કોઈ વીમા કંપની કોંગ્રેસનો વીમો ઉતારવા તૈયાર નથી. કારણે કે કોંગ્રેસનો કોઈ રાજકીય ભવિષ્ય નથી. તેમણે રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો હતો કે શું રાહુલ ગાંધી ગુજરાતને અમેઠી મોડલ બનાવવા માગે છે કે જયાં છેલ્લા ર૪ વર્ષોથી કોઈ બુનિયાદી સુવિધા કે સવલતો ઉપલબ્ધ બનાવાઈ નથી.