દરેક ધર્મના પવિત્ર સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરો : હાઈકોર્ટ

અમદાવાદ,તા.૬
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને યાત્રાના ટેકસમાંથી લાભ કરાવી રહ્યું હતું. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં દરેક ધર્મના પવિત્ર સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા કરાયેલી જાહેરહિતની અરજીને ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી છે. તેમજ દરેક ધર્મના પવિત્ર સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવાના આદેશ પણ આપ્યો છે. માઈનોરિટી કો ઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહીદ નફીસ દ્વારા ગુજરાત રાજયમાં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને યાત્રાના ટેકસમાંથી લાભાન્વિત કરવા બાબતે ઉચ્ચ ન્યાયાલય ગુજરાતમાં જાહેરહિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી હતી, આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે સરકાર બધા ધર્મોના સ્થાનોનો સર્વે કરે અને તેમને પણ એ જ લાભો મળે જે બીજાને મળી રહ્યા છે. દેશનું બંધારણ સ્પષ્ટ રીતે જણાવે છે કે, રાજય કોઈ પણ ધર્મને પ્રમોટ નહીં કરે. દરેક ધર્મને સમાન દૃષ્ટિથી જોશે, પરંતુ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આની સ્પષ્ટ નજર અંદાજ કરીને માત્ર એક ધર્મના જ યાત્રાધામોને મદદ કરી રહ્યું છે, આ મામલે જ આજે તા.૬- મે ૧૯ના હાઈકોર્ટ દ્વારા રાજય સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે દરેક ધર્મના યાત્રાધામોને બોર્ડની વિકાસની યોજનાઓ તેમજ સુવિધાઓમાં સામેલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને ૧૪ જૂનના રોજ હાઈકોર્ટમાં જણાવવામાં આવે. હાઈકોર્ટનો આ નિર્ણય બંધારણ તેમજ રાજયના સર્વ ધર્મ સમભાવના ચરિત્રને વધુ મજબૂતી પ્રદાન કરશે. અને વંચિત વર્ગોને ન્યાય મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ હશે. એમપીઆઈએલ કરનારા મુજાહીદ નફીસે જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts