અમદાવાદ, તા.ર૦
દિવ્યાંગ વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પ્રવેશ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને હાઈકોર્ટ મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી રીટ પિટિશન ફગાવી હતી. આ પિટિશન ફગાવી દેતા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીએ ફગાવી દેતા કહ્યું હતું કે, માત્ર સારા ટકા હોવાને લીધે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળી શકે નહીં. પ્રવેશ મેળવવા માગતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્યુટેબિલિટીના આધાર ઉપર જ તેમને પ્રવેશ આપી શકાય. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની માગણી હતી કે સામાન્ય વિદ્યાર્થીઓના મેરિટમાં તેમના નામ હોવા છતાં તેમની અપંગતા ૪૦થી ૮૦ ટકા વચ્ચે હોવાનું કારણ આપી મેડિકલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે હાઈકોર્ટે મેડિકલમાં પ્રવેશ આપતા સક્ષમ અધિકારીઓને પણ સાંભળ્યા હતા. હાઈકોર્ટનું અવલોકન હતું કે એમબીબીએસમાં દિવ્યાંગોની સ્યુટેબિલિટીના આધારે જ પ્રવેશ આપી શકાય. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે દિવ્યાંગ વિદ્યાર્થીની અપંગતતા કેટલી અને કેવા પ્રકારની છે તે નક્કી કરવાનો અધિકાર તંત્રોનો છે અને તેના આધારે જ તેમને એમબીબીએસમાં પ્રવેશ મળી શકે છે. માત્ર મેરિટ લિસ્ટમાં સમાવેશ થવાથી કે સારા માર્કસ અને ટકાવારી આવવાને લીધે એમબીબીએસમાં પ્રવેશ મેળવા માટે તેઓ લાયક ઠરતા નથી. મેડિકલ જેવા પ્રોફેશનલ કોર્ષમાં સારા માર્કસથી પ્રવેશનો માર્ગ ખૂલતો નથી. વિદ્યાર્થીની ડિસએબિલિટી કેવા પ્રકારની અને કેટલી છે તેના આધારે પ્રવેશ મળે છે.