ગુરૂત્વાકર્ષણના તરંગોની શોધ કરનાર ત્રણ અમેરિકી વૈજ્ઞાનિકોને ભૌતિકશાસ્ત્રનું નોબેલ

(એજન્સી) વોશિગ્ટન, તા. ૩
ગુરૂત્વાકર્ષણના તરંગોની શોધ કરનાર ત્રણ અમેરિકી વૈજ્ઞાનિકો- બૈરી બેરિશ, કિપ થોર્ન અને રેનર વેસેને આ વર્ષનું ફિઝિક્સનું નોબેલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમની આ ખોજ ગહન બ્રહ્માંડના દરવાજો ખોલે છે. વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈસ્ટીને લગભગ એક સદી પહેલા તેમની સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત હેઠળ ગુરત્વ તરંગોનું અનુમાન લગાવ્યું હતું પરંતુ ૨૦૧૫ માં આ તરંગો અંતરિક્ષમાં મોજૂદ છે તે વાત આ ત્રણ વૈજ્ઞાનિકોએ સાબિત કરી દેખાડી. બ્લેક હોલની ટક્કર અને તારાના કેન્દ્રનું વિખંડન થવાને કારણે આ પ્રક્રિયા સર્જાય છે. નોબેલ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરનાર સ્વીડીશ રોયલ એકેડમી ઓફ સાઈન્સના પ્રમુખ જી કે હનસોને કહ્યું કે તેમની ખોજે દુનિયાની હલાવી નાખી. તેમણે સપ્ટેબર ૨૦૧૫ માં આ શોધ કરી હતી અને ફેબ્રુઆરી ૨૦૧૬ મા તેની જાહેરાત કરી હતી. વૈજ્ઞાનિકોના દશકાઓ બાદના પરિશ્રમ બાદ આ ઐતિહાસીક શોધ થઈ છે. થોર્ન અને વેસે પ્રતિષ્ઠિત કૈલિફોર્નિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં સંયુક્ત રીતે ગ્રેવિટેશનલ વેબ ઓબ્ઝર્વેટરી બનાવી હતી. તે પછી બેરિશે આ યોજનાને અંતિમ ઓપ આપ્યો. આ સંસ્થાએ ૧૯૦૧ માં નોબેલ પુરસ્કારની શરૂઆત કર્યાં બાદ કુલ અઢાર વાર આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે. લગભગ ૧.૩ અબજ પ્રકાશવર્ષ દૂર સર્જાયેલા ઘટનાક્રમના પરિણામસ્વરૂપે પહેલી વાર ગુરૂત્વ તરંગોની પ્રત્યક્ષ સાબિતી મળી હતી. પુરસ્કાર એનાયત કરનાર અકાદમીએ કહ્યું કે પૃથ્વી પર જ્યારે તરંગો પહોંચ્યાં ત્યારે તે ખૂબ નબળા હતા પરંતુ ખગોળવિજ્ઞાનમાં આ બહુ મોટી સિદ્ધી છે. ગુરૂત્વ તરંગોમાં સૌથી પ્રચંડ ઘટનાક્રમો પર નજર રાખનાર અને આપણા જ્ઞાનને પરખવા માટેની આ નવી રીત છે. બ્લેક હોલમાંથી કોઈ પ્રકાશ નીકળતો નથી, તેની જાણકારી ફક્ત ગુરૂત્વ તરંગો દ્વારા મળી શકે છે. નોબેલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિકોને ૯૦ લાખ સ્વીડિશ ક્રોનર એટલે કે લગભગ ૧૧ લાખ ડોલરની રકમ પ્રદાન કરવામા આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts