દુબઈ, તા.૨૬
આઇસીસી મહિલા ટી-૨૦ વિશ્વ કપ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મિતાલી રાજને ન રમાડતા અને બાદમાં ટીમની હારે હરમનપ્રીત કૌર પર તમામ પ્રકારના સવાલો ઊભા કરી દીધા છે. ખબરો એવી પણ આવી રહી છે કે, વિવાદો વચ્ચે પસંદગીકર્તાઓની સમિતિ (સીઓએ) મિતાલી રાજ અને હરમનપ્રીતને બોલાવ્યા છે. જો કે, આ દરમિયાન મહિલા ક્રિકેટને લઇ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરને આઇસીસી મહિલા વિશ્વ ટી-૨૦ ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે, જેમા સલામી બેટ્સમેન સ્મૃતિ મંદાના અને લેગ સ્પિનર પૂનમ યાદવ પણ સામેલ છે.
આઇસીસીની આ અંતિમ ઇલેવનમાં ઇંગ્લેન્ડની ત્રણ, ઓસ્ટ્રેલિયાની બે તથા પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડ અને વેસ્ટઇન્ડિઝની પણ એક-એક ખેલાડીને સામેલ કરવામાં આવી છે.
આઇસીસીની વિશ્વ મહિલા ટી-૨૦ ટીમ આ પ્રકારે છેઃ હરમનપ્રીત કૌર (ભારત, કેપ્ટન), એલિસ હિલી (ઓસ્ટ્રેલિયા), સ્મૃતિ મંદાના (ભારત), એમી જોંસ (ઇંગ્લેન્ડ, વિકેટકીપર), ડિયાંડ્રા ડોટિન (વેસ્ટઇન્ડિઝ), જોવિરયા ખાન (પાકિસ્તાન), એલિસે પેરી (ઓસ્ટ્રેલિયા), લેગ કાસ્પેરેક (ન્યૂઝિલેન્ડ) આન્યા શ્રબસોલે (ઇંગ્લેન્ડ), ક્રિસ્ટી ગોર્ડન (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ (ભારત), ૧૨મી ખેલાડીઃ જાહનારા આલમ (બાંગ્લાદેશ).