(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૩૦
સુરેન્દ્રનગર જિલ્લાના ભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને ચોટીલાના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઈન્સ. ડી.એમ.ઢોલ તથા બામણબોર ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.જે.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા તાલુકાના આણંદપુર રોડ ઉપર ચકચારી સિલાણા હત્યાકાંડમાં સજા પામેલ તથા બીજા એક ખૂનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી જામીન ઉપર છૂટી કોર્ટમાં હાજર નહિ થતાં અમરેલી જિલ્લાના નામચીન આરોપી જગુભાઈ ટપુભાઈવાળા જાતે કાઠી દરબાર (ઉં.વ.૭૦) ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વિરૂદ્ધ સને ૨૦૧૦રના એક ખૂનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી, એડિશનલ સેશન્સ કોર્ટ, અમરેલીનું વોરંટ પેન્ડિંગ છે. આ બાબતે અમરેલી જિલ્લા પોલીસને જાણ કરવામાં આવેલ છે.આરોપી જગુભાઈ ટપુભાઈ વાળા મૂળ અમરેલી જિલ્લાના સરંભડા ગામનો વતની છે અને સને ૧૯૭૫ સાલમાં અમરેલી જિલ્લાના બગસરા પાસે સિલાણા ગામ ખાતે થયેલ ચર્ચાસ્પદ સિલાણા હત્યાકાંડ, કે જેમાં ૬ વ્યક્તિઓના ખૂન થયા હતા, એ ગુન્હાનો નામચીન કુખ્યાત ૧૫ વર્ષ જેલવાસ ભોગવી આવેલ આરોપી છે. સને ૨૦૧૦ની સાલમાં પણ સરંભડા ગામની સીમમાં જમીનના ઝઘડામાં પોતાના જ ગામના જયરાજ ઉર્ફે ઘોઘો પીઠાભાઈવાળા કાઠી દરબારને પકડાયેલ આરોપી તથા પોતાના ભાઈઓ દિલુભાઈ ટપુભાઈ, દાદાભાઈ ટપુભાઈ, ભરતભાઈ ટપુભાઈ સહિતના આઠ જેટલા આરોપીઓ દ્વારા ફાયરિંગ કરી, ખૂન કરવામાં આવેલ હતું અને આરોપી જામીન ઉપર છૂટ્યા બાદ, તેનો કેસ અમરેલીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ, જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલ હતો. જે આજરોજ પેટ્રોલિંગ દરમિયાન આણંદપુર રોડ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે.