(એજન્સી)
તામિલનાડુ, તા.૩૦
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામની મૃત્યુતિથિએ તામિલનાડુમાં આવેલ રામેશ્વર ખાતે એમની પ્રતિમાને ખુલ્લી મૂકાઈ હતી. વડાપ્રધાને એમના ગૃહનગર પીકારૂંબમાં એ સ્થળ પર બનેલ સ્મારકને દેશવાસીઓને અર્પણ કર્યું હતું. જ્યાં મિસાઈલમેનના પાર્થિવદેહને દફનાવાયું હતું. ર૭મી જુલાઈએ વડાપ્રધાન મોદીએ વીણા વગાડતા એમની લાકડાથી બનેલ પ્રતિમા સ્થાપિત કરી હતી અને એની બાજુમાં ભગવદ્ ગીતા મૂકી હતી. આના કારણે દેશભરમાં વિવાદો શરૂ થઈ ગયા. આ મામલે એઆઈએમડીએમકેએ ભાજપ ઉપર અબ્દુલ કલામની છબિને ભગવારૂપ આપવા બદલ આક્ષેપો મૂકયા હતા અને જણાવ્યું કે આ ભાજપની રાજકીય ચાલ છે. પક્ષના વરિષ્ઠ નેતા વાઈકોએ ગીતા મૂકવાના મામલે વાંધો ઉઠાવતા જણાવ્યું કે આના બદલે તામિલ પુસ્તક ‘થિરૂકુરલ’ મૂકાવવી જોઈએ જે તમિલ કવિએ લખી છે. આ વાદ-વિવાદ વધતા પ્રતિમા મૂકનાર સંસ્થાએ ખુલાસો કર્યો કે કલામને વીણાથી ખૂબ જ પ્રેમ હતો એ માટે આ પ્રકારની પ્રતિમા મૂકાઈ છે. એ સાથે જ વિવાદનો અંત લાવવા પ્રતિમા પાસે કુર્આન અને બાઈબલના પુસ્તકો મૂકાયા છે.