(એજન્સી) તા.૬
પોતાનું નિર્ભિક મંતવ્ય રજૂ કરવા માટે જાણીતા આઈએએસ અધિકારી શાહ ફૈસલે કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩પ એને રદ કરવાથી દેશના બાકીના ભાગ સાથે જમ્મુ-કાશ્મીરના સંબંધો ખતમ થઈ જશે. ર૦૧૦ની બેંચમાં યુપીએસસીની પરીક્ષાઓમાં ઉચ્ચતમ સ્તરે રહેનાર શાહ હાલમાં અમેરિકા ખાતે અભ્યાસ કરી રહ્યા છે.
એમણે ટ્વીટ કરીને લખ્યું છે, હું અનુચ્છેદ ૩પ-એની સરખામણી નિકાહનામાથી કરીશ જો તમે એનો અંત લાવો છો તો સંબંધો ખતમ થઈ જાય છે. એ પછી ચર્ચા માટે કોઈ મુદ્દો રહેતો નથી. જમ્મુ-કાશ્મીરનો ભારતમાં સમાવેશ બંધારણના અસ્તિત્વમાં આવતા પહેલાં થયું હતું. જે લોકો કહે છે કે, સમાવેશ હજુ પણ અસ્તિત્વમાં છે. એ આ વાત ભૂલી જાય છે કે સમાવેશ ‘રોકા’ની જેમ હતો. કારણ કે તે સમયે બંધારણ લાગુ થયેલ ન હતો. જો નિકાહનામાનો અંત લાવવામાં આવે તો શું એ પછી પણ ‘રોકા’ દ્વારા બે વ્યક્તિઓને બાંધી શકાય છે ? એમણે કહ્યું છે કે જો કે જમ્મુ-કાશ્મીરને બંધારણ દ્વારા વિશેષ દરજ્જો આપવાથી દેશની અખંડતતા અને એકતા માટે કોઈ ખતરો ઊભો થતો નથી. બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટે કરાયેલ જોગવાઈ એક વિશેષ છે એનાથી કોઈ ખતરો નથી. આ પહેલાં પણ સરકાર તરફથી શિસ્તભંગના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. દેશમાં વધતા બળાત્કારોના લીધે એમણે દેશને રેપિસ્તાન કહ્યું હતું. જેની સરકારે ગંભીર નોંધ લઈ એમને નોટિસ ફટકારી હતી.