IITમાં વિદ્યાર્થિનીઓ માટે ૨૦૧૮થી ૧૪ ટકા ક્વોટા

નવી દિલ્હી,તા. ૧૨
દેશની અગ્રણી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઇને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ વર્ષ ૨૦૧૮ના શૈક્ષણિક સત્રથી વધુને વધુ યુવતીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. આઈઆઈટીમાં વિદ્યાર્થીનીઓ માટે ૧૪ ટકા ક્વોટાને ૨૦૧૮થી અમલી કરવાનો નિર્ણય કરાયો છે. આઈઆઈટીના જોઇન્ટ એડમિશન બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં વિદ્યાર્થીનીઓના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બોર્ડમાં વિદ્યાર્થીનીઓ માટે તબક્કાવારરીતે સીટોમાં અનામત આપવાને મંજુરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ સુધી યુવતીઓ માટે આઈઆઈટીમાં ૨૦ ટકા સીટ અનામત રાખવામાં આવશે જ્યારે ૨૦૧૮માં યુવતીઓ માટે ૧૪ ટકા ક્વોટા રહેશે. વર્ષ ૨૦૧૪માં આઈઆઈટીમાં આશરે ૮.૮ ટકા વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો હતો જ્યારે વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૯ ટકા સુધી રહી ગયો હતો પરંતુ ૨૦૧૬માં આ આંકડો ઘટીને ૮ ટકા થઇ ગયો હતો. આઈઆઈટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઇને જોઇન્ટ એડમિશન બોર્ડ દ્વારા આ નિર્ણય કરાયો છે જેના ભાગરુપે સંસ્થાઓમાં સ્થિતિમાં સુધારા કરવામાં આવશે. સાથે સાથે અનામત ક્વોટાને વધારવામાં આવનાર છે. જેએબીના એક સભ્યએ માહિતી આપતા કહ્યું હતું કે, અસંતુલનને દૂર કરવા માટે ક્વોટાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવેશ મેળવનાર યુવતીઓની સંખ્યા પહેલાથી જ ઓછી છે. જો તેમને જનરલ કેટેગરીમાં પ્રવેશ મળી શકશે નહીં તો આ વિદ્યાર્થીનીઓને ક્વોટાના માધ્યમથી પ્રવેશ આપવામાં આવશે. કમિટિએ કેટલાક લાંબાગાળાના વિકલ્પો પણ આપ્યા છે જેને સ્કૂલ સ્તર પર અમલી કરવામાં આવનાર છે જેથી વધુને વધુ વિદ્યાર્થીનીઓ જેઈઈ એડવાન્સમાં પરીક્ષા આપે. વર્ષ ૨૦૧૬માં જેઇઇ એડવાન્સ ક્લિયર કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યામાં બે ટકાનો ઘટાડો થયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts