અમદાવાદ, તા. ૧૦
રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ફરીથી સક્રિય થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આજે કોંગ્રેસના ૧૦થી વધારે કોર્પોરેટરોએ તેમની સાથે મુલાકાત કરીને તેમને કોંગ્રેસમાં ફરીથી સક્રિય થવાની વિનંતી કરી હતી. જોકે, તેમણે કોંગ્રેસમાં સક્રિય થવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઓને કારણે કોંગ્રેસમાં પરત ફરવાનો ઇન્કાર કર્યો હતો.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ અમેરીકાથી પરત ફરતા સોમવારે તેમના સમર્થકોએ તેમની સાથે મુલાકાત કરી હતી. આજે મંગળવારે રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટરોએ તેમની મુલાકાત કરી કોંગ્રેસમાં ફરી સક્રિય થવા વિનંતી કરી હતી. સાથે જ તેમણે ઈન્દ્રનીલ કોંગ્રેસમા પાછા ન ફરે તો રાજીનામા ધરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેમણે કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્પોરેટરો હવે આ બાબતે પ્રદેશ પ્રમુખને મળીને રજૂઆત કરશે.
આ અંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલે જણાવ્યું હતું કે, “કોંગ્રેસના ૧૫થી વધુ કોર્પોરેટરો આજે મને મળવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે હું ફરીથી કોંગ્રેસમાં સક્રિય થાઉ. પરંતુ હું એક વાતે દૃઢ છું કે, જ્યાં સુધી બાવળિયાઓ કોંગ્રેસમાં હશે ત્યાં સુધી તો પક્ષમાં પરત નહીં જ ફરું. હાલ કોંગ્રેસમાં પરત ફરવાનો મારો કોઈ જ ઈરાદો નથી.” ભાવનગર ખાતે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસની પ્રાથમિક માહિતી આપી હતી. સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, કુંવરજી બાવળિયાએ મંત્રી પદની લાલચમાં આવીને પક્ષ છોડ્યો છે. સાથે જ તેમણે ઇન્દ્રનીલની નારાજગી મુદ્દે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.