(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
આર્ટ ઓફ લિવિંગ પ્રવૃત્તિઓ શાંતિની સ્થાપના માટે દરેક જાતિ, ધર્મ, વર્ગનાં ભેદભાવથી પરે માનવીય મૂલ્યોને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ કરે છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપ્ત વિવાદ-સંઘર્ષમાં સમાધાન, કુદરતી આપત્તિઓમાં રાહતકાર્યો, ગામડાઓનાં સર્વાંગી વિકાસ, મહિલા સશક્તિકરણ, કેદીઓનું માનસિક પરિવર્તન, સમાજમાં પુનર્વસન, સર્વશિક્ષા અભિયાન, શુદ્ધ પર્યાવરણ, નદીઓનું પુનરૂત્થાન જેવા અસંખ્ય સેવાકીય પ્રકલ્યો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્ટ ઓફ લિવિંગનાં પ્રણેતા, શ્રી શ્રી રવિશંકર, ગુજરાતની ૩ દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે. જેના ભાગરૂપે તેઓ દિવાળીનાં દિવસે ૧૯ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ વડોદરાની મુલાકાત લેશે. આ અવસરે આર્ટ ઓફ લિવિંગ વડોદરા સેન્ટર દ્વારા દિપોત્સવ નામક પૂજા, ગાન, જ્ઞાન અને ધ્યાનની દિવ્ય સંધ્યાનું આયોજન કરવામા આવ્યું છે. એમ આર્ટ ઓફ લિવિંગ વડોદરાનાં જીતેન્દ્ર ખિમલાની તથા વૈશાલી દેસાઈએ જણાવ્યું હતું.