(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
જલાલપોર ગામની સીમમાંથી મળેલી અજાણી યુવતીની હત્યા કરાયેલી લાશ એમ.પીની મહિલાની હોવાનું બહાર આવ્યું છે. જે અંગે મહિલાના ભાઈએ જલાલપોર પોલીસમાં તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપોરમાં બંધ ફળીયામાં વજીફા વિસ્તારમાંથી એક અજાણી મહિલાના લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે જલાલપોર પોલીસમાં સુરેશભાઈ આહિરે ફરિયાદ નોંધાવાતા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણી મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન નવસારી દશેરા ટેકરી ખાતે બે દિવસથી ગુમ આરતીબેન દુરસિંગ ચૌહાણ ઉ.વ.૩૦ના પરિવારને જાણ થતાં તેનો ભાઈ વાલસિંગ નવશાભાઈ કણશે રહે. બીછોલી જમરીયા, તા.સોદ્વડવા, એમ.પી.એ જલાલપોર ખાતેથી લોહી લુહાણ હાલતમાં મળેલી લાશની નવસારી સિવિલમાં આવી તપાસ કરતાં મરનાર આરતીબેન ચૌહાણ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે જલાલપોર પોલીસમાં વાલસિંગ કણશેએ પોતાની બહેનની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેના પતિ દુરસિંગ માલીયાભાઈ ચૌહાણ બેજરામ ગામ. તા.સોંડવા, એમ.પી. હાલ રહે. નવસારી દશેરા ટેકરી, સામે શંકા વ્યક્ત કરી છે. જેમાં પતિ દુરસિંગ ચૌહાણ આરતી સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો અને તેના ચારિત્ર્ય ઉપર શંકા રાખી આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો અને તેને કોઈ બહાને ઘર બહાર એકાંતવાળી જગ્યામાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે અંગેની વધુ તપાસ પીએસઆઈ એચ.પી. ગરાસીયા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.