(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ૩૦
ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે ગત તા.૨૨ જુલાઇના રોજ જંગલ બોર્ડરથી નજીક રેવન્યુ વિસ્તારમાં આવેલ અરજણ ગભા બારૈયાની વાડીમાં એક પ્લાસ્ટીકની બેગમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી વનવિભાગને મળતા જશાધાર રેન્જના એ.સી.એફ.એન જે પરમાર તથા આર.એફ.ઓ પંડ્યાએ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી જઇ બે માસના સિંહબાળનો મૃતદેહ પડ્યો હોય તેનો કબજો મેળવી વાડી અરજણ ગભા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડેલ અને ગીરગઢડા કોર્ટ આરોપી અરજણ ગભાને બે દિવસના રીમાન્ડ આપેલ અને રીમાન્ડ દરમ્યાન વનવિભાગને ગોળ ગોળ જવાબ આપેલ અને તેમણે ખીલાવડ ગામના ભીખુ ગીગાનું નામ આપતા વનવિભાગે આ શખ્સને શંકાને આધારે પકડી તેમની પૂછપરછ હાથ ધરેલ છે. તો બીજી તરફ આજે આરોપી વાડી માલિક અરજણ ગભાના બે દિવસના રીમાન્ડ પૂરા થતા હોય તેમને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા વનવિભાગ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલ તો બચાવ પક્ષે આરોપીની જામીન અરજી મૂકી દલીલો કરી હતી પરંતુ સિંહબાળની હત્યા ગંભીર બાબત હોય કોર્ટ આરોપી વાડી માલિકના જામીન નામંજૂર કરી ૧૦ ઓગસ્ટ સુધી જેલ ભેગો કરી દીધો છે.