વાપી,તા.ર૯
દેશમાં વિશ્વ આદિવાસી દિવસે દિલ્હીમાંના જંતરમંતર ખાતે બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ તત્વો દ્વારા ભારતીય બંધારણને સળગાવી દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેના વિરોધમાં સમગ્ર દેશમાંથી દલિતો, આદિવાસીઓ તથા અન્ય તમામ પછાત વર્ગો તરફથી આ દેશદ્રોહી કૃત્યો કરનારા લોકો સામે પગલાં લેવાની માગણી સાથે આંદોલન ચાલુ કરવામાં આવી રહ્યાં છે.
સમગ્ર વલસાડ જિલ્લો મુલનિવાસી આદિવાસી છે. અહીંના આદિવાસી સાસંદ કે આદિવાસી વિધાનસભ્ય પ્રતિનિધિઓએ ઉપરોક્ત મામલે મૌન સેવી લીધું છે અને તેને કારણે વલસાડ જિલ્લામાં આવેલા આદિવાસી ૧૬ સંગઠનો દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર મોકલવા માટે વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણને વિશાળ રેલી કાઢી હતી અને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા માટે રાષ્ટ્રીય મુલનિવાસી – RMS, ભીલીસ્તાન ટાયગર સેના – જીતુ પટેલ, સંવિધાન ગૌરવ સમિતિ -વાપી, દમણ, દાદરા નગરહવેલી, બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા વલસાડ જિલ્લા શાખા, વલસાડ જિલ્લા જય આદિવાસી મહાસંઘ, નાલંદા ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દમણ, સમ્રાટ યુવા મોરચા દાદરા, સંઘ મિત્ર ફાઉન્ડેશન, આદિવાસી એકતા પરિષદ ડો.બાબાસાહેબ આંબેડકર સેવા સંઘ -વાપી દમણ, દાદરા, સમ્રાટ અશોક સંગઠન -દમણ, વલસાડ જિલ્લા મહાર સમાજ યુવા સંગઠન, વલસાડ જિલ્લા .S.C/S.T સંગઠન, રાષ્ટ્રીય માનવ અધિકાર સંશોધન વિકાસ સંસ્થા વલસાડ, આદિવાસી ક્રાંતિ સંગઠન, બહુજન સમાજ પાર્ટી તથા આદિવાસી અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, ભારતીય સંવિધાન બંધારણની કોપી ફાડી હતી અને આ બંધારણને સળગાવ્યું હતું. આટલેથી ન અટકતા તેઓએ પોતાના આ દેશદ્રોહી કૃત્યોને સમગ્ર દેશમાં મોબાઇલ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે તેથી તેઓને ભારતીય સંવિધાન બંધારણના કાનુનનો બિલકુલ ડર નથી તે સાબિત થાય છે અને આવા તત્વોની પાછળ આદિવાસી મુળનિવાસી, દલિતો વિરોધી લોકોનો હાથ અને ટેકો છે તેમ લાગી રહ્યું છે.
આદિવાસી સંગઠનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આંબેડકરના વિરોધ કરનારા અને ભારતીય સંવિધાન બંધારણની કોપી ફાડીને તેને સળગાવી દેનારા અને અસામાજિક કામગીરી કરનારા આ વ્યક્તિઓને અભિષેક શુક્લા, સંજય વર્મા, દિપક ગૌડ, આશુતોષ કુમાર, અનુપ દુબે, ક્રુષ્ણ મોહન રાય, રોહિત ગુપ્તા, આશુતોષ ઝા, સંતોષ. શુક્લા, પરવેઝ સહાય, કામિની ઝા, પાંડે તથા અન્યો સામે ભારતીય સંવિધાન કાનુન મુજબ ગુનો નોંધવામાં આવે અને રાષ્ટ્રીય સન્માનને ઠેસ પહોંચાડવા અને ગુનો દાખલ કરીને કડક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી હતી.