વાપી,તા.ર૩
૨૦ વર્ષ પહેલાં મંજૂર થયેલી ઉદવહન સિંચાઇ યોજનાને પુનઃ જીવીત કરવા માટે તમામ પ્રયાસો હાથ ધરાશે, એમ ફલધરાના જલારામધામ વિદ્યામંદિર હોલ ખાતે યોજાયેલા ૧૮ ગામના ખેડૂતોની યોજાયેલી સભા દરમિયાન વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે વધુમાં જણાવ્યું હતું કે, જળસંચય વિભાગના મંત્રીને સાથે રાખી ચિંચાઇ ઉદ્વહન સિંચાઇ યોજનાને પુનઃજીવીત કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરાશે. જે માટે કાર્યપાલક ઇજનેરને આ યોજના હેઠળ પાણી આપવા માટે કરવાની થતી તમામ કાર્યવાહીનો રીપોર્ટ તૈયાર રાખવા તેમજ અગાઉ કરાયેલી પાઇપલાઇનમાં કયા કયા પોઇન્ટ ઉપર લીકેજ છે અને તેના માટે શું કરી શકાય તેનો અહેવાલ બનાવવા પણ જણાવ્યું હતું. આ કામગીરીમાં ગ્રામજનોને પણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દમણગંગા નહેરનું ડાબાકાંઠાનું પાણી આ વિસ્તારના ખેડૂતોને મળે તે માટે ૪૪૭૩ હેક્ટર જેટલી જમીનમાં સિંચાઇનું પાણી આપવાનું આયોજન કરાયું છે. સિંચાઇની સુવિધા વધતાં ખેડૂતોને પણ ફાયદો થશે.
આ અવસરે વલસાડ તાલુકાના ૧૮ ગામોની ચિંચાઇ ઉદ્વહન સિંચાઇ યોજનાના સંઘ પ્રમુખ ફૂલસિંગભાઇ પટેલે સિંચાઇ યોજના અંગેની જાણકારી આપી આ વિસ્તારના ખેડૂતોનો પ્રશ્નનું સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત મંત્રી સમક્ષ કરી હતી.
સ્વાગત પ્રવચનમાં શાળાની ધોરણ ૬માં ભણતી વિદ્યાર્થીની સ્તુતિકુમારીએ સૌને આવકાર્યા હતા.
આ અવસરે ચિંચાઇ ઉદવહન સિંચાઇ યોજનામાં સમાવિષ્ટ ૧૮ ગામોના સરપંચો, ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.