જામનગર,તા.૯
કાલાવડના નાગાજણમાં આઠ વર્ષ પહેલા અગિયાર વિદ્યાર્થીઓ પર સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચરનાર આરોપી શિક્ષકને અગાઉ ત્રણ વર્ષની કેદની સજા પડી હતી તેની સામે આરોપીએ સજા ઘટાડવા અને સરકાર પક્ષે સજા વધારવા અપીલ નોંધાવી હતી તે અપીલના અંતે અદાલતે આ આરોપીને સાત વર્ષની કેદ અને રોકડનો દંડ ફટકાર્યો છે.
કાલાવડ તાલુકાના નાગાજણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે મૂકવામાં આવેલા પાટણ જિલ્લાના વતની જયેશ ગોરધનભાઈ પટેલ નામના શખ્સે વર્ષ ૨૦૧૦ પહેલા પોતાની શાળામાં અભ્યાસ કરતા બાળકોને જુદા જુદા બહાના હેઠળ શાળાના જ કેટલાક ખંડોમાં બોલાવી તેઓ પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થતા ચકચાર જાગી હતી. પોલીસે ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં આ શખ્સે અગિયાર બાળકો પર આ પ્રકારનું કૃત્ય આચર્યાનું બહાર આવ્યું હતું.
ઉપરોક્ત કેસ કાલાવડની જ્યુડી. મેજી. ફ.ક. કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. સજાના હુકમ પછી આરોપી જયેશ પટેલે તે હુકમ સામે જામનગરની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે સરકાર પક્ષે આ શખ્સની સજામાં વધારો કરવા માટે અપીલ નોંધાવી હતી.
બન્ને અપીલો સંયુક્ત રીતે ચાલી જતાં ગઈકાલે એડીશ્નલ સેશન્સ જજ પી.પી. રાવલે આરોપી શિક્ષક જયેશ પટેલની સજામાં વધારો કરી તેને સાત વર્ષની કેદ અને રૂા.રપ હજારનો દંડ ફટકાર્યો છે.