(એજન્સી) મુંબઈ, તા.ર૩
બુદ્ધિજીવ નરેન્દ્ર ડાભોલકરની ર૦૧૩માં થયેલી હત્યા કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડમાં વિલંબ બદલ વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારે સવાલો ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસની બાતમીના આધારે સીબીઆઈએ ગત સપ્તાહે એક વ્યક્તિની ધરપકડ કરી દાવો કર્યો હતો કે ઓગસ્ટ ર૦૧૩માં પુણે ખાતે ડાભોલકર પર ગોળી ચલાવનારા બે શૂટરો પૈકી એકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પ્રેસ ક્લબ ખાતે બોલતા કન્હૈયાકુમારે સવાલ કર્યો હતો કે, આ કેસમાં શા માટે આટલા વર્ષો બાદ ધરપકડ કરવામાં આવી. ડાભોલકરની હત્યા થયે પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. શા માટે પહેલાં ધરપકડ કરાઈ ન હતી ? સીબીઆઈને બાતમી આપવાના બદલે મહારાષ્ટ્ર પોલીસ ધરપકડ કરી શકી હોત. પાડોશી રાજ્ય કર્ણાટકમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા કેસમાં પોલીસે જ આરોપીઓની ધરપકડ કરી હતી. કન્હૈયાકુમારે જણાવ્યું હતું કે, પોતાની વિરૂદ્ધ બોલતાં અથવા લખતા લોકોને ભયભીત કરવા સરકાર દ્વારા જ લંકેશના હત્યારાઓનું રક્ષણ કરવામાં આવે છે. કુમારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસે તાજેતરમાં જ વિસ્ફોટોનું આયોજન કરી રહેલા એક ભગવાધારીની ધરપકડ કરી હતી. મોદી સરકાર દેશમાંથી બંધારણીય લોકશાહી ખત્મ કરી ટોળાશાહી લાગુ કરવા માગે છે.