(એજન્સી) કોલકાતા, તા.૧૩
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે સોમવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહને બદનક્ષીની નોટિસ મોકલાવી હતી. અમિત શાહે કોલકાતામાં જાહેરસભામાં મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકયા હતા. કોલકાતામાં યુવા સ્વાભિમાન સમાવેશ રેલીમાં સંબોધન કરતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પ.બંગાળને ૩.પ૯ લાખ કરોડ રૂપિયા આપ્યા હતા જે અભિષેક અને એમના મળતિયાઓના ખિસ્સામાં ગયા હતા. અભિષેક મમતા બેનરજીનો ભત્રીજો છે. શાહે પ્રશ્ન કર્યો કે ૧૪માં નાણાપંચની ભલામણ મુજબ મોદી સરકારે પ.બંગાળને ૩,પ૯,૦૦૦ કરોડ રૂપિયા મોકલ્યા હતા જ્યારે યુપીએ સરકારે એમને ૧,૩ર,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા ? એ બધા પૈસા ક્યાં ગયા ? શું એ ભત્રીજા અને એમના મળતિયાઓના ખિસ્સાઓમાં જતા રહ્યા ? શાહે શાસક પક્ષ ઉપર હુમલો કરતાં કહ્યું જ્યારથી મમતા સરકાર આવી છે ત્યારથી ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. તદુપરાંત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બગડી છે. આનું વિકલ્પ ફકત ભાજપ છે. સાત વર્ષથી મમતા સરકાર છે. કૌભાંડોની હારમાળા સર્જાઈ છે. નારડા કૌભાંડ, શારદા અને રોઝવેલી કૌભાંડ, પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, કોલસાના માફિયાઓ જોરમાં છે.