(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૪
આણંદ શહેરમાં પ્લાસ્ટીક ઓફ પેરીસમાંથી બનાવેલી કેમીકલ યુકત ગણેશની મૂર્તીઓનાં વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટીક ઓફ પેરીશમાંથી બનાવેલી ગણેશ મૂર્તીઓનું વેચાણ કરતા વેપારીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડી તેની વિરૂદ્ધ જાહેરનામાનાં ભંગની ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટીક ઓફ પેરીશમાંથી કેમીકલ યુકત ગણેશ મૂર્તીઓનાં વેચાણ તેમજ ઉપયોગ પર પ્રતિંબધ હોવા છતાં આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ પર પંચાલ હોલ સામે હિમાંશુ જયંતીભાઈ કંસારા પ્લાસ્ટીક ઓફ પેરીશમાંથી બનાવેલી કેમીકલ યુકત મૂર્તીઓનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી આણંદ ટાઉન પોલીસ મથકનાં પો.કો કીરીટસીંહને મળતા તેઓએ છાપો મારીને હિમાંશુ કંસારાને પીઓપીમાંથી બનાવેલી ગણેશની મૂર્તીઓ સાથે ઝડપી પાડી તેની વિરૂદ્ધ જાહેરનામાનાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે પીએસઆઈ આર ડી ઓઝાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટીક ઓફ પેરીશમાંથી બનાવેલી કેમીકલયુકત ગણેશની મૂર્તીઓનાં કારણે વિસર્જન દરમિયાન પીઓપીની મૂર્તીઓનાં કારણે તળાવ નદીનાં પાણી દુષિત બને છે,અને જળચર પ્રાણીઓને નુકશાન થાય છે.જેનાં કારણે આણંદ જિલ્લામાં પ્લાસ્ટીક ઓફ પેરીશમાંથી બનાવેલી કેમીકલ યુકત મૂર્તીઓનાં ઉપયોગ અને બનાવવા તેમજ વેચાણ કરવા પર જીલ્લા મેજીસ્ટ્રેટ ડા.ધવલકુમાર પટેલએ પ્રતિંબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે,તેમ છતાં જાહેરનામાનો ભંગ કરીને પીઓપીની બનાવટની ગણેશની મૂર્તીઓ બનાવતા અને વેચતા લોકો સામે કાયદેસરનાં પગલા ભરવામાં આવી રહ્યા છે.