(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૯
ઉના તાલુકાના ખેડૂતો સાથે થતાં અન્યાય અને અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલ ધોવાણથી બેહાલ થઇ ગયેલ હોય ખેતીના પાકની સર્વેની કામગીરી હજુ સુધી થયેલ ન હોય તેમજ વિવિધ મુદાને લઇ ભારતીય કિશાન સંઘ દ્વારા પ્રમુખ બાબુભાઇ મકવાણા સહિતના ખેડૂત આગેવાનો માર્કેટીંગ યાર્ડ ખાતે મહાસભા યોજાયેલ અને સૂત્રોચ્ચાર સાથે શહેરના માર્ગો પર મહારેલી કાઢી નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જગતનો તાત ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને ભારે વરસાદને કારણે પાકનું ધોવાણ થઇ ગયેલ હોય પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઇ સર્વેની કામગીરી કરવામાં આવી નથી. ૧૯૯૯ બાદ આજ સુધી પાક વીમો આપવામાં આવતો ન હોય અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલ ધોવાણનું સર્વે કરવા, પીજીવીસીએલના કર્મચારીઓના કનડગત, જમીન રિસર્વેમાં તમામ ગામડાઓમાં થયેલ ગોટાળા, ખેડૂતોને પાક વીમો મળવા અંગે, રેવન્યુ તલાટીની કામગીરી ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીને સોંપવું, થ્રી ફેઝ વીજળી દિવસ દરમિયાન આપવું, ગૈાચરણની જમીન નીરમા કંપનીને આપવામાં આવેલ હોય, જંગલી પ્રાણીથી ખેડૂતોને થયેલ નુકસાનનું પૂરૂં વળતર મળે, બાગાયતી જમીનને પાકને વીમામાં સમાવેશ કરવા, ગ્રામ્ય વિસ્તારમાં ૭/૧૨/ તથા ૮(અ) ચાલુ કરવા તેમજ સરકાર દ્વારા ઉના ગીરગઢડામાં ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં મોટાપાયે ગોટાળા થયેલ જેવા વિવિધ પ્રશ્નોને લઇ સમસ્યાને હલ કરવા તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્કેટીગ યાર્ડથી શહેરના માર્ગો પર રેલી કાઢી રોષપૂર્વક નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આમ, ખેડૂતોના પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ભારતીય કિશાનસંઘના નેજા હેઠળ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.