(એજન્સી) બેજિંગ, તા. ૨૭
લડાખ સેક્ટરમાં પેંગોગ સરોવર નજીક રસ્તાના બાંધકામની ભારતની યોજનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ગુરુવારે ચીને એક બયાન જારી કરીને કહ્યું કે ભારતે આવું કરીને તેના મોં પર ઝાપટ મારી છે. ચીને એવી પણ ધમકી આપી કે ભારતના આ પગલાંથી ડોકલામ વિવાદ વધશે. ચીને કહ્યું કે લડ્ડાખ સેક્ટરમાં પેંગોગ સરોવર સુધી સડક નિર્માણની મંજૂરી આપીને ભારતે પોતાના મોંઢ પર થપ્પડ મારી છે. કારણ કે જ્યાં ભારતે રસ્તાના બાંધકામની યોજના બનાવી છે ત્યાં હાલમાં સીમા નિર્ધારણ થઈ નથી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ભારતના આ કામ દ્વારા જાહેર થાય છે કે ભારત કહે છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ. ચીની પ્રવક્તાએ ઉમેર્યું કે સીમા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિરોધાભાસ દેખાય છે. તેમે કહ્યું કે લડાખ જેવા વિવાદીત સેક્ટરમાં સડક નિર્માણને કારણે આ વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ બગડશે. આ પહેલા ચીને નેપાળી વડાપ્રધાન શેરબહાદુર દેઉબાની ભારત મુલાકાત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહયું કે ભારત આર્થિક મદદને કારણે નેપાળને રિઝવવાની કોશિશ કરી રહ્યું છે અને તે ચીનના પ્રભાવને ઓછો આંકવાનું સપનું ન જોવે.