બે ઝઘડતા યુવકને છોડાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરતાં ભાગદોડ

પાલનપુર, તા. ૪
પાલનપુરમાં સોમવારે બ્રિજેશ્વર કોલોનીથી શ્રીકૃષ્ણની શોભાયાત્રાનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પરંપરાગત કરતાં આ વખતે ઉલટા રૂટ ઉપર પરિભ્રમણ કરી મટકીઓ ફોડતાં ફોડતાં શ્રધ્ધાળુઓ ગુરૂનાનક ચોકમાં પહોચ્યા હતા. જ્યાં બે યુવકો એકબીજા સાથે તકરાર કરતા હોઈ મામલો વધુ ન વણસે તે માટે પોલીસ બંનેને અલગ કરવા માટે પ્રયત્ન કરતા મામલો વધુ બિચક્યો હતો અને પોલીસ અને કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી સર્જાતા અને ભીડ એકત્ર થઈ જતા પોલીસે મામલો વધુ વણસે તેવી સંભાવના જણાતા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. અને લાકડીઓથી પોલીસે કેટલાક નિર્દોષ લોકોને પણ કુટી નાંખ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાવા પામી નથી. આ અંગે શહેરના જાગૃત લોકોએ જણાવ્યું હતુ કે, પોલીસ ધારત તો સમજાવટથી આ મામલો થાળે પાડી શકી હોત પરંતુ પોલીસની આ કાર્યવાહીથી ઉગ્રતા ફેલાવા પામી હતી. જોકે, સમજુ લોકોએ તેને મોટુ સ્વરૂપ ન આપતાં શહેરમાં મોટી ઘટના બનતા અટકી ગઇ હતી. આ અંગે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળે જણાવ્યું હતુ કે,જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમ્યાન અહી કોઈ પોકેટમાર યુવકને અન્ય યુવકે પકડેલ હોઈ બન્ને વચ્ચે તકરાર ચાલતી હોઈ પોલીસને અણસમજ થઈ હતી કે આ બન્ને યુવકો બબાલ કરી રહ્યા છે તેના કારણે તેઓને છુટા પાડવા માટે ઝપાઝપી થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks