(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
ગુજરાતમાં શિયાળાનું આગમન થતાં ભૂકંપના આચંકાઓ આવવાની સંખ્યા પણ વધવા લાગી છે. છેલ્લા બે દિવસથી કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગત સાંજે ૪.૩ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ આજે બપોરે ૩.પની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું એપી સેન્ટર ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપના આંચકાવાળુ જ એપી સેન્ટર હતું. છેલ્લા બે દિવસથી કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. બપોરે ૧ઃ૧૦ કલાકે રાપર પાસે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રાપર, ભચાઉ, સહિતના પંથકમાં આ આંચકો અનુભવાયો હતો. ગઈ કાલે બે આંચકા બાદ આજે ત્રીજો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર પણ ૨૦૦૧માં આવેલા મહા ભયાનક ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું. ત્યારે સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. આ આંચકો બપોરે ૧ વાગ્યેને ૧૦ મિનિટે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી ૨૪ કિ.મી. દૂર ૧૫.૩ કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ દિવસથી કચ્છમાં ભૂંકપના આંચકાએ જોર પકડ્યું છે. સોમવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ૪.૩ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ અગાઉ રાજ્યમાં જામનગર, કચ્છ, નવસારી, તાપીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા જે તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.