નવી દિલ્હી, તા. ૮
ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ આરોપ લગાવ્યો હતો કે, મમતા બેનરજી કોમવાદી સરકાર ચલાવે છે જ્યારથી તેઓ સત્તા પર આવ્યા છે ત્યારથી ફક્ત એક સમુદાયને સમર્થન કરે છે. સરકારી નીતિ તરીકે કોમવાદને અપનાવતા મમતા બેનરજી ફક્ત એક સમુદાયને પીઠબળ આપે છે અને અન્ય સમુદાયની અવગણના કરે છે. તેઓ દરેક જગ્યાએ ચિનગારી ભડકાવે છે અને દાર્જિંલિંગને આગના ઝોંકીને નેધરલેન્ડ પહોંચી ગયા. પરત આવતા જ તેમણે બદુરિયાને ભડકાવવા પરવાનગી આપી દીધી. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, તેઓ આ આગને બુઝાવવા માટે કોઇ પ્રયાસ કરતા નથી. રાહુલ સિંહાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગોરખા મુક્તિ મોરચા દ્વારા બોલાયેલા અનિશ્ચિતકાળના બંધને કારણે દાર્જિલિંગના પર્વતીય વિસ્તારો એક મહિના સુધી હિંસામાં હોમાતા હતા ત્યાંજ ૨૪ પરગણા જિલ્લામાં આવેલા બદુરિયામાં કોમી હિંસા ફાટી નીકળી છે. દાર્જિલિંગ અને બદુરિયામાં સ્થિતિને નિયંત્રણમાં ન રાખવા બદલ સિંહાએ મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માગ કરી હતી. સિંહાએ કહ્યું કે, વહીવટીતંત્રે તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાથી ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના સભ્યોને અટકાવ્યા હતા.