(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
વડાપ્રધાન મોદીના સૌથી વધુ ટીકાકાર મમતા બેનરજીએ સોમવારે જણાવ્યું કે, તેઓ બધાનું સ્વાસ્થ્ય સારૂં હોય તેવું ઇચ્છતા હોવાથી ૫૬ ઇંચની છાતી ૧૧૨ ઇંચની થાય તેવી આશા રાખે છે. તેમણે ચહેરા ભાવ લાવ્યા વિના એક સભામાં જણાવ્યું હતું કે, ‘‘તેમનું ફિગર સારૂં છે, તે વધુ સારૂં થાય તેવી મારી ઇચ્છા છે. જો ૫૬ ઇંચની છાતી ૧૧૨ ઇંચની થાય તો મને વધુ ખુશી થાય. હું બધાને સારા સ્વાસ્થ્યમાં જોવા માગું છું. પોતાના રાજકીય વિરોધીઓની ખાસ કરીને પીએમ મોદીની ખેંચતાણ કરવા માટે જાણીતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ વખતે એકદમ અલગ મિજાજ દર્શાવ્યો છે.
ટીએમસી સુપ્રીમોએ જણાવ્યું હતું કે, હવે તેઓએ ચા વાળા બનવાનું છોડી દીધું છે અને ચોકીદાર બની ગયા છે. પોતાની પાર્ટીની ધર્મનિરપેક્ષ છબિની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, તેઓ હજુ પણ મંદિર, મસ્જિદ અને ચર્ચનું વલણ ધરાવે છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં સભા કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બેનરજીની સત્તામાં પશ્ચિમ બંગાળ ત્રણ ટી માટે જાણીતું છે. ટી-તૃણમુલ, ટોલાબાજી, ટેક્ષ. ટોલાબાજી શબ્દ તેમણે મહાગઠબંધન વિશે ઉચ્ચાર્યો હતો. બીજી તરફ મમતા બેનરજીએ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ ટોલાબાજીમાં રહેતી હોવાને બદલે પીએમ એ જાહેર કરે કે તેમણે નોટબંધીમાંથી કેટલા રૂપિયા કમાવ્યા. મમતા બેનરજીએ કહ્યું કે, મોદીનો કાર્યકાળ રાફેલ ફાઇટર જેટ સહિતના ભ્રષ્ટાચારોથી ભરેલો છે. સીબીઆઇ અને ઇનકમટેક્ષના દરોડાના ભયથી કોઇપણ મોદી સામે ભયમુક્ત થઇને બોલી શકતો નથી. મમતાએ એવું પણજણાવ્યું કે, જય શ્રી રામ ભાજપનું સૂત્ર છે અને આ સૂત્ર બધા બોલે તેવા પ્રયાસ કરે છે. શું ચૂંટણીઓ આવે છે ત્યારે રામચંદ્ર ભાજપના એજન્ટ બની જાય છે ? તેમણે કહ્યું કે, ભગવા પાર્ટી જે બોલાવવાનો પ્રયાસ કરે છે તે બંગાળની સંસ્કૃતિ નથી સાથે જ તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી કે ભાજપ કોઇને સૂત્રો બોલવા માટે દબાણ ના કરી શકે. બંગાળના સૂત્રો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ અને સુભાષચંદ્ર બોઝનું ‘જય હિંદ’ છે. હું તમારો સૂત્ર શા માટે આપું ? હું સડેલા મોદી અને સડેલા ભાજપના સૂત્રો નહીં બોલું. તેઓ બંગાળની સંસ્કૃતિ મિટાવવા માગે છે.