(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૩
માંગરોળના શેરિયાજ બારા બંદર પર માછીમારોના ઝૂંપડા અને ડંગાઓમાં મધ્ય રાત્રીએ અચાનક આગ લાગતા લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ બનાવની વિગત એવી છે કે, માંગરોળના શેરિયાજ બારા બંદર પર માછીમારો તેમના પરિવાર સાથે રહેણાકના ઝૂંપડામાં શનિવારે રાત્રે મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે મધ્યરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે ડંગામાં અચાનક આગ લાગી જતા ડંગાઓ સાથે રહેણાકના ઝૂંપડા પણ ભળભળ સળગવા માંડ્યા હતા. આગની ગરમીથી ઝૂંપડામાં સૂતેલા માછીમારોની આખ ખૂલતા તેમની સામે ભયાવહ આગની લપેટો હતી. આગથી બચવા નાસભાગ મચી ગયો હતો. માછીમારોના ડંગામાં રહેલી જાળ, વાઘડા, ઓઝા સહિત માછીમારોને જામહાનિ થઈ ન હતી. આગ ઓલવવા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ બનાવ અંગે માછીમારોએ માંગરોળ મામલતદાર અને મરીન પોલીસમાં એક ગાંડા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી શેરિયાજ બારા બંદર પર એક અસ્થિર મગજનો અજાણ્યો ગાંડો માણસ રખડે છે. જે રાત્રે ઠંડીથી બચવા ગમે ત્યાં તાપણું કરતો રહે છે. જેના કારણે અન્ય કોઈ કારણસર આગ લાગી છે. આ બનાવથી ત્રણ માછીમારોનો કુલ માલસામાન સહિત ર૦ લાખનું નુકસાન થયું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.