(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૧
ભાજપના પંચમહાલના સાંસદે ગત રોજ જાણે હાઈકમાન્ડ પડકાર ફેંકતા હોય તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ આજે એકાએક યુ-ટર્ન લઈ લીધુ હતું અને જણાવ્યું હતું કે મારૂં એ નિવેદન પાર્ટી માટે ન હતું પરંતુ મારા-વિરોધીઓ માટે હતું. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બુધવારના રોજ આપેલા પોતાના નિવેદનને ફેરવી તોળતા જણાવ્યું હતું કે જે વિરોધીઓ હતા અમારી અંદર એ બધાના હાથ હેઠા પડયા એટલે મને લાગયું કે મારે આવું બોલવું જોઈએ. એટલે હું બોલ્યો પણ એ નિવેદન મારૂં પાર્ટીલક્ષી નહોતું જે લોકો મારો વિરોધ કરતા હતા એ પછી વિરોધ પક્ષના હોય કે પાર્ટીના હોય તેમના હાથ હેઠા પાડવા માટે મારા આ શબ્દો હતા. પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ફરી એકવાર પોતાના સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે આ વખતે તેમણે પોતાની જ પાર્ટીને ન ગમે તેવું નિવેદન આપ્યું હતું. પ્રભાતસિંહે જણાવ્યું હતું કે ર૦૧૯, ર૦રપ અને ર૦૩૦ હજુ ત્રણ ટર્મ સુધી હું છુ. ચિંતા ના કરતા ર૦૧૯માં અઢી લાખની લીડથી હું જીતવાનો છું ટિકિટ કાપવાની કોઈની તાકાત નથી. ટિકિટ કાપવાવાળો કોઈ જન્મ્યો નથી.