(એજન્સી) તા.ર૧
પ સપ્ટેમ્બર, ર૦૧૭ના દિવસે બેંગ્લુરુમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી. જમરેણી સંગઠનોનો કોમવાદી અને સાંપ્રદાયિક એજન્ડા જાહેર કરવાના તેમના પ્રયત્નો તેમના મૃત્યુના કારણ બન્યા. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) દ્વારા ધરપકડ કરાયેલા પરશુરામ વાઘમારેએ કબૂલ કર્યું કે, હિન્દુત્વને બચાવવા માટે ગૌરી લંકેશની હત્યા કરી પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી વાઘમારેએ તેનો ગુનો સ્વીકારી લીધો પરંતુ તેના કબૂલાતનામાથી એક મહત્ત્વના પ્રશ્નનો જવાબ મળતો નથી. આ હત્યા પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે ? સીટના અહેવાલ વાઘમારેનું કબૂલાતનામું ફક્ત ગૌરી લંકેશની હત્યા પાછળનો હેતુ જ દર્શાવતો નથી પરંતુ એ પણ દર્શાવે છે કે હિન્દુત્વવાદી શક્તિઓ સામે અવાજ ઉઠાવનારા લોકોની હત્યા પાછળ એક સુવ્યવસ્થિત તંત્ર કામ કરી રહ્યું છે. સીટના એક અધિકારીએ તાજેતરમાં આપેલું નિવેદન એ વાત પર પ્રકાશ પાડે છે કે પાંચ રાજ્યો : મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં કટ્ટરવાદી હિન્દુત્વ સંગઠનોની એક ટોળકી સક્રિય છે. આ જ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બેનામી ટોળકીમાં ઓછામાં ઓછા ૬૦ સભ્યો છે. આ સભ્યોની ભરતી મહારાષ્ટ્ર સ્થિતિ સંગઠનો હિન્દુ જાગૃતિ સમિતિ અને સનાતન સંસ્થામાંથી કરવામાં આવી છે પરંતુ આ બે સંગઠનો બુદ્ધિજીવીઓની હત્યા માટે સીધા જવાબદાર નથી. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે વાઘમારે રામસેનાનો કાર્યકર છે પરંતુ રામસેનાના પ્રમુખ પ્રમોદ મુથાવિક આ વાત નકારે છે. જો કે પ્રમોદ મુથાલિકે આ વાત સ્વીકારી હતી કે વાઘમારે ર૦૧ર સુધી આર.એસ.એસ. સાથે સંકળાયેલો હતો તો પછી આ કેસમાં કોઈ કેવી રીતે માની શકે કે આ હત્યાઓ માટે હિન્દુત્વવાદી સંગઠનો જવાબદાર નથી ? શા માટે પોલીસ આ અજાણ્યા સંગઠનને શોધવામાં નિષ્ફળ ગઈ છે ? આ ફક્ત ગૌરી લંકેશ હત્યાના કેસની વાત નથી પરંતુ નરેન્દ્ર ડાભોલકર (ર૦૧૩), ગોવિંદ પાનસરે (ર૦૧પ) અને એમ.એમ.કલબુર્ગીની હત્યા પણ આ જ પ્રકારના પ્રશ્નો ઉભા કરે છે. દરેક તપાસ શંકાસ્પદ હુમલાખોરોની ધરપકડ સુધી જ સિમિત છે. આ સુવ્યવસ્થિત હુમલાઓ પાછળના મુખ્ય ષડયંંત્રકારો સુધી પહોંચવાના કોઈ પ્રયત્નો થતાં નથી.
બુદ્ધિજીવીઓની હત્યા પાછળના ખરા માસ્ટરમાઈન્ડ હિંદુત્વવાદી સંગઠનો છે તેમને ઉઘાડા પાડવા જોઈએ : ગોવિંદ પાનસરેની દીકરી
(એજન્સી) તા.ર૧
જ્યારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ પત્રકાર ગૌરી લંકેશની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા પરશુરામ વાઘમારેની પૂછપરછમાં વ્યસ્ત છે ત્યારે વરિષ્ઠ સી.પી.આઈ. નેતા અને બુદ્ધિજીવી ગોવિંદ પાનસરેની પુત્રી મેઘા પાનસરે એ એક સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યુમાં અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે કથિત હુમલાખોરો સારંગ આકોલકર અને વિનય પવારની ધરપકડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગોવિંદ પાનસરેની ર૦ ફેબ્રુઆરી ર૦૧પના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે મેઘા પાનસરેને પૂછવામાં આવ્યું કે, “ગૌરી લંકેશ હત્યા કેસમાં તમને મહારાષ્ટ્ર સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે તાજેતરમાં શું માહિતી આપી છે,” ત્યારે મેઘા પાનસરેએ કહ્યું, “ગૌરી લંકેશ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પરશુરામ વાઘમારેની પૂછપરછ કરવા મહારાષ્ટ્ર ‘સીટ’ની ટીમ બેંગ્લુરુ જશે. હજી અમારા માટે એ ભણવાનું બાકી છે કે તે શું ખુલાસો કરે છે. પણ આ વાત જાહેર થઈ ગઈ છે કે પાનસરે, લંકેશ અને એમ.એમ.કુલકર્ણીની હત્યામાં એક જ પ્રકારના હથિયારનો ઉપયોગ થયો હતો. જ્યારે મેઘા પાનસરેને પૂછવામાં આવ્યું કે, આ તપાસથી તમે શું અપેક્ષા રાખો છો ત્યારે મેઘા પાનસરેએ કહ્યું હતું કે, “પવાર અને આકોલકરની ધરપકડ ઉપરાંત અમારી માગણી છે કે આ કેસના માસ્ટર માઈન્ડોને ઉઘાડા પાડવા જોઈએ. ખરા માસ્ટર માઈન્ડ હિન્દુવાદી સંગઠનો છે. તેઓએ મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને દેશના અન્ય ભાગોમાં ૬૦ લોકોનું એક જૂથ રચ્યું છે જે તેઓના કટ્ટરવાદી મંતવ્યો સાથે સહમત ન થનાર કર્મશીલો અને બુદ્ધિજીવીઓને લક્ષ્યાંક બનાવે છે.