(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ભારતની તપાસ એજન્સીઓને સમાચારો મળ્યા કે, ભાગેડું આરોપી મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે ત્યારે એમણે ત્યાંની સ્થાનિક સરકારને મેહુલ ચોક્સીની ધરપકડ કરવા વિનંતી કરી છે. આ વિનંતી મૌખિક અને લેખિત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે પોતાના રાજદૂત દ્વારા એન્ટીગુઆની સરકારને વિનંતી કરી છે કે મેહુલ ચોક્સીની હાજરીની પુષ્ટિ કર્યા પછી એમને ભૂમિ, જળ અને વાયુ માર્ગે દેશમાંથી બહાર જતો અટકાવવામાં આવે અને ધરપકડ કરવામાં આવે. ભારતીય હાઈ કમિશનર એન્ટીગુઆના સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળશે અને ભારતના વિદેશ મંત્રાલયની વિનંતી રજૂ કરશે. વિદેશ મંત્રાલય ભારતીય એજન્સીઓ અને એન્ટીગુઆ અને બરમુડા સરકાર સાથે સતત સંપર્કમાં છે. ચોક્સીનો પાસપોર્ટ ફેબ્રુઆરી મહિનામાં રદ કરાયો હતો. પીએનબી છેતરપિંડી કેસમાં ચોક્સી વોન્ટેડ આરોપી છે. એમની ઉપર છેતરપિંડી અને પીએમએલએ હેઠળના આક્ષેપો છે. ગયા અઠવાડિયે ચોક્સીના એન્ટીગુઆમાં હોવાના સમાચારો મળ્યા હતા જેથી સરકારે વધુ પગલાં લીધા છે.
ચોક્સીએ નવેમ્બર ર૦૧૭માં એન્ટીગુઆની નાગરિકતા મેળવવા અરજી કરી હતી અને જાન્યુઆરી ર૦૧૮માં એમને નાગરિકતા મળી હતી. એ ૭મી જાન્યુઆરીએ ભારત છોડી ગયો હતો.