(તસવીર : ઈકબાલ અઘામ, જામનગર) (સંવાદદાતા દ્વારા) જામનગર,તા.ર૬
જામનગરમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયેલા દર્દીઓ પાસે જાજરૂ-બાથરૂમ સફાઈ જેવા કામો કરાવામાં આવતા હોવાની હકિકત સામે આવે છે, અહીં રહેતા દર્દીઓ કરતા તેમની સારવાર અને અન્ય આનુસંગિક કામગીરી માટે નિયુક્ત સ્ટાફની સંખ્યા બમણી હોવા છતાંય “બિચારા” દર્દી પાસે વર્ગ-૪ પ્રકારનું કામ કરાવાતું હોવાનું સામે આવ્યું છે.
જામનગરની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં હાથમાં ઝાડુ લઈને ગંદગી સાફ કરી કરી રહેલા આ વયોવૃદ્ધ દર્દીનું નામ સુરેશ ચનુભાઇ દરજી છે, માનસિક અસ્વસ્થ્ય એવા આ વૃદ્ધ પાછલા ૪ વર્ષોથી અહી સારવાર લઇ રહ્યા છે, આશરે ૬૫ વર્ષની ઉંમરના આ દર્દી પાસે ચોથા વર્ગના કર્મચારી પ્રકારનું કામ લેવામાં આવી રહ્યું છે
હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ એટલે કે જામનગરની આ મેન્ટલ હોસ્પિટલમાં હાલ કુલ ૨૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, આ તમામની સાર સંભાળ લેવા માટે કુલ ૩૩ કર્મચારીઓનો સ્ટાફ નિમાયેલો છે, રસોયાથી માંડી સફાઈ કામદાર સુધીના કામ માટે અલાયદો સ્ટાફ હોવા છતાંય અપુરતું સમજી શકતા દર્દીઓના હાથમાં સાવરણી પકડાવી દેવાય છે
આ અંગે સત્તાધીશોને પૂછવામાં આવતા દર્દીઓના ઉપચારમાં “પ્રવૃત્તિ” કારગત રહેતી હોવાનું ગાણું ગવાય છે, તેમજ સરકારી વિભાગ અને દર્દીઓ વચ્ચે કડીની ભૂમિકા ભજવતા સત્તાવાર નિમાયેલા સાઈક્રિયાટિક સોશ્યલ વર્કર પણ કાંઈક આવો જ સુર પુરાવે છે.