(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થતાં છત્તીસગઢના એડિશનલ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમને રાજ્યપાલના મુખ્ય સચિવ જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમારને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની યુપીએ ૧-ર અંગત સચિવ રહી ચૂકેલ બીવીઆર સુબ્રમણ્યમે ત્રણ વર્ષ વર્લ્ડ બેન્ક સાથે સફળતા પૂર્વક કામ પાર પાડ્યા બાદ ત્રીજીવાર જોઈન્ટ સેક્રેટરી પદ પર નિયુક્ત હતા. તેમણે મોદી સરકારમાં પણ જોઈન્ટ સેક્રેટરીની ભૂમિકા ભજવી ત્યારબાદ તેમની વાપસી કેડર છત્તીસગઢમાં થઈ. છત્તીસગઢમાં ગૃહસચિવ પદે રહીમ નકસલી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ સ્થાપિત કર્યું અને બસીર જેવા વિસ્તારમાં ૭૦૦ કિ.મી. લાંબી સડક બનાવવામાં સફળ રહ્યા. વર્ષ-ર૦૧૭માં તેમના ગૃહસચિવ પદ હેઠળ આ વિસ્તારના ૩૦૦ નકસલીઓ ઠાર મરાયા અને ૧૦૦૦થી વધુએ આત્મસમર્પણ કર્યું હતું. કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનને ઓક્ટો-ર૦૦૪માંં એક અથડામણ દરમ્યાન ઠાર મારવામાં આવ્યો હતો. વિજયકુમારે એ ટીમની આગેવાની લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ એન. એન.રાવના સલાહકાર તરીકે નિયુક્ત કરાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી વિજયકુમાર જંગલમાં ઉગ્રવાદી વિરોધી અભિયાન ચલાવવામાં સારી પકડ ધરાવે છે તમિલનાડુ કેડરના ૧૯૭પ બેન્ચના આઈપીએસ કુમાર ૧૯૯૮થી ર૦૦૧ દરમ્યાન બીએસએફના આઈજી તરીકે કાશ્મીર ઘાટીમાં સેવા આપી ચૂક્યા છે. વર્ષ-ર૦૧૦માં છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલામાં સીઆરપીએફના ૭પ જવાનો શહીદ થયા બાદ વિજયકુમારને એ દળના ડીજી નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં નકસલી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો.