બેંગલુરુ, તા. ૯
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એક-બીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં એક રેલીને સંબોધતા રાજ્યની કોંગ્રેસ સરકારને ઉખાડી ફેંકવાની હાકલ કરી છે તો, બીજીબાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે અમે ‘આરએસએસ રાજ’ થવા દઇશું નહીં. રાહુલે કહ્યું કે લોકો પહેલા ભાજપ અને નરેન્દ્ર મોદીને કર્ણાટક અને ત્યાર પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ ફેંકી દેશે. મોદીએ જણાવ્યું કે રાહુલે કશું જ કર્યું નહીં હોવાછતાં તેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાને ત્રિશંકુ વિધાનસભાનું જુઠ્ઠાણું ચલાવવાનો આરોપ મુક્યો છે. કોંગ્રેસને પરાજયનો ભય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દલિતોને પ્રગતિ કરવા દેતી નથી. તેમણે રાહુલ ગાંધીને જુઠ્ઠા ગણાવ્યા છે અને જણાવ્યું કે વડાપ્રધાનપદ માટે રાહુલ ગાંધીનો દાવો તેમના અહંકારનો એક પુરાવો છે. તેમણે રાહુલ ગાંધીને અપરિપક્વ ગણાવ્યા છે. કોંગ્રેસે કર્ણાટકમાં લોકશાહી ખતમ કરી નાખી છે.