
અમદાવાદ,તા.૯
કચ્છના અજરખપુરમાં બે માસૂમ બાળકોને અજાણ્યા શખ્સો ઉઠાવીને લઈ ગયા બાદ એક બાળકની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે એક બાળકી ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે હાલ તો ગભરાયેલી હાલતમાં મળી આવેલી બાળકીને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના અજરખપુર ગામમાં રહેતા એક ખત્રી પરિવારના દાનિયાલ ઈસ્માઈલ અનવર ખત્રી (ઉ.વ.૩) તથા લુબાબા આદમ અનવર ખત્રી (ઉ.વ.ર.પ)ને તા.૬ જૂનના રોજ સવારે ઘરની નજીકથી કોઈ ઉઠાવીને લઈ ગયું હતું. જે અંગે પરિવારજનોએ બંને બાળકોની શોધખોળ કરી પરંતુ તેમની કોઈ ભાળ મળી નહીં. ત્યાર બાદ બીજા દિવસે સવારે અજરખપુર ગામની પાછળના ભાગે આવેલા જંગલ જેવા વેરાન વિસ્તારમાંથી અઢી વર્ષની લુબાબા ગભરાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ થોડેક જ દૂરથી દાનિયાલ ઈસ્માઈલ અનવર ખત્રીની લાશ મળી આવી હતી. આ અંગે પરિવારજન આદમ અનવર ખત્રીએ જણાવ્યું કે ભાઈનો દીકરો દાનિયાલ અને મારી દીકરી લુબાબાને ઘરની નજીકથી જ કોઈ ઉઠાવી ગયું હતું. જો કે તેમને શોધવામાં આખા ગામે અમને સહયોગ આપ્યો હતો. આખો દિવસ અને રાત સુધી બંને ગુમ બાળકોને શોધ્યા પણ મળ્યા નહીં ત્યાર બાદ બીજા દિવસે સવારે અમારા ગામ અજરખપુરની પાછળના ભાગે જંગલ જેવો વેરાન વિસ્તાર છે. ત્યાંથી પહેલા મારી દીકરી લુબાબા થોડી ઈજાગ્રસ્ત અને ભરાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા થોડેક દૂરથી દાનિયાલની લાશ મળી આવી હતી. આ સમગ્ર મામલે અમે પોલીસમાં ફરિયાદ કરી છે. જો કે દાનિયાલના મૃતદેહ ઉપર કોઈએ માર માર્યો હોય તેવા નિશાન મળી આવ્યા છે. જો કે મારી દીકરીને સામાન્ય ઈજાઓ થયેલી જણાય છે. પરંતુ તે ખૂબ જ ગભરાઈ ગયેલી છે. તેથી બૂમાબૂમ કરી રડે છે. તેમજ તેને ખેંચો પણ આવે છે ત્યારે લુબાબાને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે. તેમજ દાનિયાલના મોત મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જો કે દાનિયાલ ખત્રીની હત્યા કેવી રીતે થઈ તે તો તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર પડશે. એમ આદમ અનવર ખત્રીએ જણાવ્યું હતુંત્